અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.
‘આસીમ’ રાંદેરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

‘સંતરાની માફક પૃથ્વીને આમ નિચોવ્યા જ ન કરાય…*’ – હરીશ મીનાશ્રુ

પૃથ્વીના ગોળાને કોણ રે નિચોવે આમ ગળચટ્ટા સંતરાની જેમ
રસની પિયાલી ઢીંચી મત્ત બને કોણ, કોણ ફેંકાતું છોતરાની જેમ

ખાય અન્નદાતા તો રૈયતને ઓડકાર
ખાવાનાં નીકળ્યાં ફરમાન ઘણી ખમ્મા હો
થૂલીને ગણવો કંસાર અને કુશકીને
રાજીખુશીથી ગણો ધાન ઘણી ખમ્મા હો
ગંગુ તેલી ને હતો એક રાજા ભોજ રે
વેળા વીતે ને વધે વારતાનો બોજ રે
વેંઢાર્યે જાવ આવા ઇશ્વરને જીવતરમાં ભારે સંપેતરાની જેમ
પૃથ્વીના ગોળાને કોણ રે નિચોવે આમ ગળચટ્ટા સંતરાની જેમ

ખેતર તોળાઈ ગયાં દાણીને ત્રાજવે
ને ધરમીને ઘેર પડી ધાડ ઘણી ખમ્મા હો
આગિયાને તાપણે ટોળે વળીને લોક
હેમાળે ગાળે છે હાડ ઘણી ખમ્મા હો
ઠેકાણે લાવવાને કક્કાની સાન રે
સંતરીના પહેરાની હેઠળ જબાન રે
રાંકનાં તે ગીત કેમ ગાવાં, ભાષા તો પડી ઊંધા છબોતરાંની જેમ
પૃથ્વીના ગોળાને કોણ રે નિચોવે આમ ગળચટ્ટા સંતરાની જેમ

– હરીશ મીનાશ્રુ
(*સ્મરણપુણ્ય : પોપ ફ્રાન્સિસ)

ત્રણ-ચાર વર્ષ પહેલાં પોપ ફ્રાન્સિસે એક વક્તવ્યમાં પૃથ્વી અને પર્યાવરણ પર તોળાઈ રહેલા ખતરાથી બચવા માટે પૃથ્વીને સંતરાની જેમ નિચોવ્યા કરવાનું બંધ કરવાનો વિશ્વવ્યાપી સંદેશો આપ્યો હતો. કવિ એ સંદેશાને ધ્રુવકડીમાં સાંકળી લઈને કેવું મજાનું વ્યંગગીત રચે છે એ જોવા જેવું છે. ગીતમાંથી પસાર થતી વખતે કરસનદાસ માણેકની ‘મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે’ ગઝલ અવશ્ય યાદ આવશે.

વીસ ટકા અમીરો દુનિયાના એંસી ટકા સંસાધનો વાપરે છે. બાકીના વીસ ટકા ગરીબોને તો દોઢ ટકો સંસાધન પણ નસીબ થતાં નથી. વધારે ચોંકાવનારો આંકડો તો પ્રદૂષણ બાબતનો છે. દુનિયાના એક જ ટકો અમીરો દુનિયાના બે તૃત્યાંશ પ્રદૂષણ માટે જવાબદાર છે. આ શુષ્ક આંકડા કાવ્યસ્વરૂપ ધારે તો આવું ગીત લખાય.

Comments

તો વાત આમ છે – નાઝમ હિકમેત (તુર્કી) (અનુ: નંદિતા મુની)

આગળ વધતા ઉજાસમાં ઊભો છું
ક્ષુધાભર્યા છે હાથ મારા, ને આ સૃષ્ટિ સૌંદર્યભરી.

વૃક્ષો નિહાળીને ધરાતી જ નથી‌ મારી આંખો-
કેટલાં આશાભર્યાં, કેવાં લીલાં!

શેતૂરનાં વૃક્ષો વચ્ચેથી પસાર થાય છે એક તડકાભર્યો રસ્તો,
ને હું જેલના દવાખાનાની બારીએ છું.

દવાની વાસ નથી આવતી મને-
નક્કી આસપાસમાં ફૂલ ખીલ્યાં હશે.

તો વાત આમ છે:
કોઇ કેદ કરી લે એ વાત મહત્વની નથી,
મહત્વ એ વાતનું છે કે તમે શરણ નથી થયા.

– નાઝમ હિકમેત (તુર્કી) (Turkish: [naːˈzɯm hicˈmet]
(અંગ્રેજી પરથી ગુજ. અનુ: નંદિતા મુની)

*

1938ની સાલમાં તુર્કી આર્મી વોર અકાદમીના વિદ્યાર્થીઓમાં અપપ્રચાર કરવાના આરોપસર કવિને યુદ્ધ અકાદમી અને નૌસેના તરફથી પંદર વત્તા વીસ –એમ કુલ પાંત્રીસ વરસની કેદ કરવામાં આવી હતી. પણ 1950માં ડેમોક્રેટ પાર્ટી સત્તામાં આવ્યા બાદ બુદ્ધિજીવીઓના આંદોલન અને કવિની ભૂખ હડતાળ સામે નમતું મૂકીને કવિને મુક્ત કરવામાં આવ્યા. તેર વરસના આ કારાવાસ દરમિયાન કવિએ જે રચનાઓ કરી હતી, એમાંની આ એક રચના છે.

કારાવાસની અંદર રચાયેલ આ કવિતામાં પહેલી પંક્તિમાં જ કવિએ ઘણું બધું કહી નાંખ્યું છે. શરૂઆત ‘આઇ’થી થાય છે. છત્રીસ વર્ષની વયે પાંત્રીસ વર્ષની કેદ થઈ હોય તોય ‘હું’ અડીખમ રહી શક્યો છે એ કવિના મજબૂત મનોબળની નિશાની છે. બીજો શબ્દ છે ‘સ્ટેન્ડ.’ એય કવિના અણનમ જુસ્સાને અધોરેખિત કરી આપે છે. કવિ આગળ વધતા ઉજાસમાં ઊભા છે. ઊભા છે, તૂટી નથી પડ્યા, મતલબ પ્રકાશની જેમ આગળ વધવાની આશા પણ કવિની જોડાજોડ હજી અણનમ ઊભી છે. કવિ જેલખાનાની બારીએ ઊભા છે અને બહારની ખૂબસૂરત દુનિયા તરફ એમના ભૂખ્યા હાથ લંબાયેલા છે. આ ભૂખ સૃષ્ટિના સૌંદર્યને પામવાની છે, આશાભર્યાં લીલાં વૃક્ષોને આંખોમાં ભરવાની છે. ’કેટલાં આશાભર્યા’ શબ્દપ્રયોગ પણ કવિતાની પાર્શ્વભૂમાં ધ્યાનાર્હ બને છે. જેલના દવાખાનાની બારી જેટલી નાનકડી જગ્યાથી સમગ્ર સૃષ્ટિ સાથે અનુસંધાન અનુભવતા કવિને દવાની વાસ પણ આવતી નથી, બલકે ફૂલોની ખુશબૂ અનુભવાય છે. મતલબ, કારાવાસના અત્યાચારો એમના સુધી પહોંચતા જ નથી, એમને કોઈ અસર કરી શકતા નથી. છેલ્લી બે પંક્તિ તો સૉનેટમાં આવતી ચોટ જેવી બળકટ થઈ છે.

*

It’s This Way

I stand in the advancing light,
my hands hungry, the world beautiful.

My eyes can’t get enough of the trees–
they’re so hopeful, so green.

A sunny road runs through the mulberries,
I’m at the window of the prison infirmary.

I can’t smell the medicines–
carnations must be blooming nearby.

It’s this way:
being captured is beside the point,
the point is not to surrender.

– Nazim Hikmet
(Eng. Trans. by Randy Blasing and Mutlu Konuk (1993))

Comments (4)

હોય છે – એસ. એસ. રાહી

ભીંતમાં રસ્તા નીકળતા હોય છે,
આ અવસ્થા કઈ અવસ્થા હોય છે?

ખોટું સાચું કઈ રીતે નક્કી થશે?
સહુને પોતામાં જ શ્રદ્ધા હોય છે.

દોસ્તોમાંથી ઘણું મળશે તને,
દુશ્મનોનાં ઘાવ અમથા હોય છે.

આપણે કયાં કઈ કરી શકીએ છીએ?
જાતની સામે જ મ્હોરાં હોય છે.

આભ જેવું આભ કાં ઓછું પડે?
પંખીને શેની સમસ્યા હોય છે?

– એસ. એસ. રાહી

ભીંત એટલે શક્યતાઓનું આખરી નાકું. ડેડએન્ડ. પણ જીવનમાં ક્યારેક એવી અવસ્થા પણ આવે છે, જ્યારે અંતમાંથી જ પ્રારંભ કરતા શીખી જાય છે. દીવાલ ફાડીને દરવાજો નહીં, મારગ બનાવી શકે એને કોઈ ક્યાંય રોકી શકતું નથી. ભીંતમાંથી રસ્તો નીકળવો શરૂ થાય એ અવસ્થા કઈ અવસ્થા હોય છે એવો દેખીતો સવાલ કવિ આપણને કરે છે. ખરેખર તો આ સવાલ તો કેવળ બાહ્યાવરણ છે. સવાલની આડમાં છૂપાઈને હકીકતમાં કવિ આપણને ભીંતમાંથી રસ્તો કાઢતા શીખવા માટે આહ્વાન આપે છે. આ પડકાર સ્વીકારવા આપણે તૈયાર છીએ ને?

Comments (8)

તો મજા – કિરણ જોગીદાસ ‘રોશન’

આ સ્થિરતા હવે ગતિ થઈ જાય તો મજા,
ઇચ્છાઓ ‘છે’ મટી, ‘હતી’ થઈ જાય તો મજા.

તણખો હતો હવે એ અગનઝાળ થઈ ગયો,
શંકા એ આગમાં સતી થઈ જાય તો મજા.

ખુલ્લી કે બંધ આંખ હો, રહે એક સમાન દૃશ્ય,
જીવને આ સ્થિતિની રતિ થઈ જાય તો મજા.

જગથી છૂપી હૃદયમાં બદીઓ હશે ઘણી,
ખુદની જ સામે એ છતી થઈ જાય તો મજા.

વૈરાગ્ય માટે ત્યાગ જગતનો કર્યા વગર,
સંસારમાં જ મન યતિ થઈ જાય તો મજા.

– કિરણ જોગીદાસ ‘રોશન’

લયસ્તરો પર કવયિત્રીના પ્રથમ સ્વતંત્ર ગઝલસંગ્રહ ‘ક્યાં ખબર હતી!’નું સહૃદય સ્વાગત.

આમ તો બધા શેર સરસ છે, પણ મત્લા સવિશેષ ધ્યાન ખેંચે છે. પહેલી નજરે મત્લાના બે મિસરા વચ્ચે વાબસ્તગી ન હોવાનું પ્રતીત થાય, પણ પછી ખ્યાલ આવે સર્જક શું કહેવા માંગતા હશે. ઇચ્છાઓ આપણને કેદી બનાવી અટકાવી રાખે છે. ઇચ્છાઓથી આઝાદ થઈ જવાય તો સ્થિરતા ગતિમાં પરિણમે. ‘આમ થાય તો મજા’ કહેતી ગઝલ આખેઆખી મજેદાર થઈ છે…

Comments (9)

આપણી જ વાત – જગદીશ જોષી

વાતને ઝરૂખે એક ઝૂરે છે લાગણી
.                                       …આપણી!

.          એક એક પળ હવે પીગળીને પ્હાડ થાય
.          આપણી જ વાત હવે આપણી જ વાડ થાય
વાયરાને સંગ તોયે રાતરાણી એકલી
.                            એકલી ઝૂરે છે અભાગણી.

.          હોઠો આ શબ્દોના પડછાયા પાથરે
.          સમણાંએ લંબાવ્યું આંખોને સાથરે
આગિયાની પાંખ પરે બેઠો સૂરજ : એની
.                        રગરગમાં મારગની માગણી.

– જગદીશ જોષી

શબ્દ બે ધારી તલવાર છે. યોગ્ય રીતે વાપરવામાં આવે તો જંગ જીતી શકાય અને અયોગ્ય રીતે વાપરો તો જીતેલી બાજી પણ હારી જવાય. પોતાના જ શબ્દોનો માર ખાધેલ બે પ્રિયજનની સમ-વેદનાનું આ સહિયારું ગાન છે. વાતને ઝરૂખે એક લાગણી ઝૂરી રહી છે. કોની? તો કે આપણી. મુખડાની બીજી પંક્તિમાં પરંપરા મુજબ આખું વાક્ય વાપરવાના બદલે કવિએ માત્ર એક જ શબ્દ –આપણી- વાપરીને સહિયારાભાવને કેવો અધોરેખિત કરી બતાવ્યો છે! આપણે એકબીજાને જે કહ્યું છે એ વાતો જ આપણને અલગ કરતી વાડ બની ગઈ છે. સંગાથમાં પાણીની જેમ વહેતો સમય હવે થીજી ગયો છે. એક એક પળ પણ પહાડ જેવી વિરાટ ભાસે છે. રાતરાણીની સુગંધને પીઠ પર સવારી કરાવી ગામ આખાને તરબતર કરતો વાયરો સાથમાં હોવા છતાં અભાગણી રાતરાણી એકલી ઝૂરી રહી છે. એના પમરાટનો પાગલ એની સાથે નથી ને! પડછાયા એટલે અંધારું. હોઠેથી આયખું અજવાળે એવા શબ્દોના સ્થાને પડછાયાઓ પથરાઈ રહ્યા છે. આંખોની મરણપથારી પર કદી સાથે જોયાં હશે એ સ્વપ્નો આખરી શ્વાસ લઈ રહ્યાં છે. આગિયાની પાંખ પર બેઠેલો સૂરજ મારગની માંગણી કરે એ પ્રતીક મને પૂરું સમજાતું નથી. કવિ વાતનું વતેસર થયાની વાત કરે છે કે કંઈ બીજું એ બાબતે કોઈ કવિમિત્ર કે વાચકમિત્ર વધુ પ્રકાશ પાડશે તો આનંદ થશે.

Comments (13)

બળતાં પાણી – ઉમાશંકર જોશી

(શિખરિણી)

નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો;
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયૈ સળગતી,
ઘણું દાઝે દેહે, તપી તપી ઊડે બિંદુ જળનાં.
વરાળો હૈયાંની પણ મદદ કૈં ના દઈ શકે.
જરી થંભી જૈને ઉછળી, દઈ છોળો તટ પરે
પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને.
અરે! જે પ્હાડોએ નિજ સહુ નિચોવી અરપીયું
નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે.

કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
ઉથાપી- લોપીને સ્વજન દુઃખને શાંત કરવું?
નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી
જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા!
પછી ત્યાંથી કો દી જળભર ભલે વાદળ બની,
વહી આવી આંહિ ગિરિદવ શમાવાનું થઈ ર્‌હે!
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?

– ઉમાશંકર જોશી

હજી તો એપ્રિલ માંડ શરૂ થયો છે ને ગરમીએ તો માઝા મૂકી છે. ડુંગરમાંથી જન્મેલી ડુંગરપુત્રી નદી દોડી રહી છે. એની આજુબાજુના ડુંગરો અને વનો તાપમાં ભડભડ શેકાઈ રહ્યાં છે ને ઓળા નદીના પાણીમાં પડે છે. નદીનું હૈયું તો સળગે જ છે, કાયા પણ ગરમીના કારણે દાઝી રહી છે. જે પહાડોએ એને પોતાનું સર્વસ્વ નિચોવીને જન્મ આપ્યો છે, એ પહાડોને તટ ઉપર છોળો ઉછાળી પાણી છાંટી શીતળ કરવાનું નદીના ભાગ્યમાં નથી. કિનારાએ જે જડ મર્યાદામાં એને બાંધી દીધી છે એને ઉથાપી-લોપીને સ્વજનોના દુઃખને એ શાંત કરી શકતી નથી. જે પાસેનાં છે એ સહુને સળગી મરતાં છોડીને એણે જે કદી જોયો નથી એવા દરિયાના પેટાળમાં ભડભડતા અગ્નિને ઠારવા જવું પડે છે. દરિયામાંથી વરાળસ્વરૂપ ધારીને વાદળ બનીને ક્યારેક આ તરફ આવીને પર્વતો પર લાગેલી આગ બૂઝાવવાનું સૌભાગ્ય જ્યારે એને સાંપડશે તો ખરું પણ બધું તાપથી બળીને ખાક થઈ જાય પછી એ સૌભાગ્ય સૌભાગ્ય કહેવાય કે દુર્ભાગ્ય?

એક પંક્તિ ઓછી કરીને કવિ ચૌદ પંક્તિનું સૉનેટ આપી શક્યા હોત, પણ જડ કાંઠાના નિયમોને ઉથાપી ન શકતી નદીથી વિપરિત હૃદયોર્મિના વેગને કાવ્યાકારના કાંઠાઓમાં બાંધવું યોગ્ય ન ગણીને કવિએ કદાચ સૉનેટ કહેવાનો મોહ જતો કર્યો હોઈ શકે. વધુ તો જાણકારો જ કહી શકે.

Comments (4)

(जानना) – विनोद कुमार शुक्ल

हताशा से एक व्यक्ति बैठ गया था
व्यक्ति को मैं नहीं जानता था
हताशा को जानता था

इसलिए मैं उस व्यक्ति के पास गया
मैंने हाथ बढ़ाया
मेरा हाथ पकड़कर वह खड़ा हुआ
मुझे वह नहीं जानता था
मेरे हाथ बढ़ाने को जानता था

हम दोनों साथ चले
दोनों एक दूसरे को नहीं जानते थे
साथ चलने को जानते थे।

– विनोद कुमार शुक्ल

અનુવાદની આવશ્યક્તા ન હોવાથી મૂળ કવિતા જ રજૂ કરું છું. સારી કવિતા જટિલ શબ્દાડંબરની જરાય મહોતાજ હોતી નથી. સીધી દિલથી નીકળેલી વાત યથાતથ બીજા દિલ સુધી પહોંચાડી શકે એ સાચી કવિતા. અનુવાદ તો અપ્રસ્તુત જણાય જ છે, પિષ્ટપેષણ પણ બિલકુલ અનાવશ્યક લાગે છે. પણ એટલું જરૂર કહીશ કે આ રચના એકવાર વાંચીને આગળ વધી જવાને બદલે ત્રણ-ચારવાર એમાંથી પસાર જરૂર થજો અને પછી મને કહેજો કે કેવું લાગ્યું!

Comments (7)

તારાઓનું ગીત – કૃષ્ણલાલ શ્રીધરાણી

સંધ્યા આવી પૂરે કોડિયાં,
.               આભ અટારી શણગારે;
વિભાવરી શરમાતી આવી,
.               નવલખ જ્યોતિ પ્રગટાવે!
.                                 ચાર દિશાના વાયુ વાય;
.                                 થથરે, પણ નવ બૂઝી જાય!

અંબર ગરબો માથે મેલી,
.               આદ્યા જગમાં રાસ રમે!
નવલખ તારા છિદ્રો એનાં,
.               મીઠાં મહીંથી તેજ ઝમે!
.                                 વ્યોમ તણેયે પેલે પાર!
.                                 જયોત ઝબૂકે જગ-આધાર

– કૃષ્ણલાલ શ્રીધરાણી

સાવ ટબૂકડું પણ કેવું મજાનું ગીત! રાત્રે આકાશમાં તારાઓને ટમટમતાં આપણે સહુ જોઈએ છીએ. આ તો રોજેરોજનું દૃશ્ય છે, પણ કવિની તો દૃષ્ટિ જ અલગ. કવિના લેન્સમાંથી હજારોવાર જોયેલી વસ્તુ પણ અચંબો થાય એવી નવીન લાગે. પ્રસ્તુત રચના એનું બળકટ દૃષ્ટાંત છે. સાંજ આકાશના કોડિયાઓમાં લાલ-કેસરી રંગોનું તેલ પૂરીને આભઅટારીને શણગારે છે. સાંજના ધીમે ધીમે ઢળવા અને રાતના ધીમે ધીમે રેલાવાની ક્રિયાને કવિ રાત શરમાતી શરમાતી આવે છે એમ કહીને નવું જ પરિમાણ બક્ષે છે. અંધારું થાય નહીં ત્યાં સુધી તારાઓ ચમકતા દેખાય નહીં એ તથ્યમાં કવિને શર્મિલી વહુ નવલખ જ્યોતિ પ્રગટાવતી નજરે ચડે છે. સામાન્યરીતે વાયુ વાય એટલે દીવાની જ્યોત થથરવા માંડે અને બુઝાઈ પણ જાય. ઝબુક ઝબુક કરતા પણ ગાયબ ન થતા તારાઓમાં કવિને આ દૃશ્ય દેખાય છે. હવે તો નવરાત્રિમાં માથે ગરબો મેલીને રમવાની પ્રથા નામશેષ થવા આવી છે, પણ જે સમયે આ ગીત રચાયું હતું એ સમયે એવું નહોતું. ગરબો એટલે ઘણાબધાં કાણાંવાળું માટલું, જેની અંદર દીવડો મૂક્યો હોય અને એને માથે લઈને સ્ત્રી માતાની મૂર્તિ કે તસવીર સમક્ષ રાસ રમે. (આજે આપણે આ ક્રિયાને જ ગરબો કહેવા માંડ્યા છીએ.) આખું અંબર એક ગરબો હોય, મીઠાં તેજ વરસાવતા તારાઓ એમાં કરાયેલ નવલખ છિદ્રો હોય અને સ્વયં આદ્યાશક્તિ એને માથે મેલીને રાસ રમતી હોય એ કલ્પન ધ્યાનમાં રાખીને રાત્રે આકાશમાં મીટ માંડજો. કવિએ કેવી કમાલ કરી છે એ સમજાશે. જે રીતે ગરબામાં કરાયેલ છિદ્રોમાંથી તેજ ઝમતું તો નજરે ચડે છે, પણ તેજ રેલાવનાર દીવો નજરે ચડતો નથી એ જ રીતે નજરે ચડતા આકાશની પેલે પાર દુનિયાના આધાર સમી જ્યોત ઝબૂકી રહી છે એમ કહીને ઈશ્વર તરફ અંગૂલિનિર્દેશ કરીને કવિ ગીતને નવી જ ઊંચાઈ બક્ષે છે.

Comments (9)

જંગલ ઝોલા ખાય – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

પવન નેવકો થીર હોય ને જંગલ ઝોલા ખાય…

નરસીં મેતે ભાર ષકટનો
.             જેના શિરે દીધો,
પરસેવાથી લથબથ કૂતરે
.             ઠામૂકો જશ લીધો.

નીર નદીમાં હોય નહીં ને ગામ તણાઈ જાય…
પવન નેવકો થીર હોય ને જંગલ ઝોલાં ખાય…

દીવાસળીના ડીંટે અગની
.             સાવે સૂનમૂન બેઠો,
સમજણની પટ્ટી પર ઘસવા
.             નથી કોઈને નેઠો.

સાવ તણખલાં જેવી વાતે ભારે ભડકો થાય…
પવન નેવકો થીર હોય ને જંગલ ઝોલાં ખાય…

– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

દેખીતા વિરોધાભાસનું ગીત. ગીતનો ઉપાડ જ અનિવાર્ય કારણના લોપથી થાય છે. પવન સાવ જ સ્થિર હોય ત્યારે જંગલના ઝાડપાન કઈ રીતે ઝોલાં ખાઈ શકે? પણ અહીં એવું કૌતુક કવિએ સર્જ્યું છે. ષકટનો ભાર શ્વાન તાણે કહેવતને આપણા આદિ કવિ નરસિંહ મહેતા સાથે સાંકળીને કવિએ હાથ કંગન કો આરસી ક્યા જેવો આ સ્વયંસ્પષ્ટ વિરોધાભાસ આજકાલનો નહીં પણ પરાપૂર્વથી ચાલતો આવ્યો હોવાની વાતને પણ અધોરેખિત કરી બતાવી છે. વા વાયો ને નળિયું ખસ્યું જેવી વાતમાં આખું ગામ તણાઈ જાય ને તણખલાં જેવી વાતે ભારે ભડકો થાય એ વક્રતા પણ કવિએ ભારોભાર વ્યંગ સાથે રજૂ કરી છે. દીવાસળીના પોટાશમાં ભારેલો અગ્નિ બેઠો જ છે, પણ સમજણની પટ્ટી ઉપર એને ઘસવામાં આવે તો અજવાળું થાય અને પ્રકાશ રેલાય. પણ એટલું ભાન હવે કોનામાં બચ્યું છે?

ખેર, આ તો થઈ કવિએ ગીતમાં શું પીરસ્યું છે એની વાત. ગીત કેવી રીતે પીરસાયું છે એ તરફ પણ ધ્યાન દેવા જેવું છે. લયની પ્રવાહિતા સિવાય ગીતની બાની અને શબ્દપસંદગી પણ કાબિલે-દાદ છે. બહુ ઓછા કવિઓ તળપદી બોલી આટલી પ્રભાવકતાથી પ્રયોજી શકે છે.

(નેવકો= સમૂળગો, સાવ; નેઠો= ભાન)

Comments (8)

આભ – મણિલાલ દેસાઈ

આભને નહીં હોય રે આભની માયા,
નહીં તો એ વેરાન કે વને, આવળ બાવળ ઝાડ કે જને
ડોળતું નહીં ર્.હેય રે એની સોનલવરણી છાયા!

વાદળી જરાક ઝૂકતી, જરાક ઝરતી ક્વચિત્ નાવ લઈને નિજની
ર્.હેતી ક્ષિતિજતીરે ફરતી દિવસરાત,
ક્યારેક ખાલીખમ ને ક્યારેક ભરતું ચોગરદમ, બીડેલા રીસમાં
રાધાશ્યામના જેવા હોઠ તો જાણે માંડે ઝાઝી વાત!
ક્યાંક સમાવે પાંખમાં પવન, ક્યાંક પવનને પાંખમાં ભરી
આવતું તરી દૂરથી મૂકી દૂર રે એની કાયા!

ઊતરે જોઈ જલ ને રહે ઝૂકતું જોઈ થલ, જરામાં લાગતાં ઝોકો
વેરાઈ જતું માનવી મનેમંન;
નમતે પ્હોરે તળાવપાળે કૂવાથંભે ઊતરી બેસે ચકલાંટોળું,
લાગતું ત્યારે નભને જાણે ભીંજતું એનું તંન !
કોઈ વેળા વન ઝૂકતાં, ઝાડવાં તૂટતાં, બાગમાં છૂટતા ફૂલફુવારા
એની સાત સમુંદર તરતી ર્.હેતી છાયા !

– મણિલાલ દેસાઈ

સ્વની માયા ન હોય એ જ માણસ પરમાર્થે જોડાઈ શકે. આભના મિષે આ વાત કવિએ કેવી સરસ રીતે કહી છે એ જોવા જેવું છે. આભને આભની પોતાની માયા નથી હોતી. માયા હોય તો એ સ્વને ત્યાગીને વેરાન હોય કે વન, આવળબાવળ હોય કે લોકો, એ પોતાની સોનલવરણી છાયા સૌ પર એકસમાન હેતથી પાથરે નહીં ગીતોમાં સામાન્યરીતે જોવા મળતાં આવર્તનો કરતાં એક આવર્તન વધુ ગૂંથીને કવિએ લયને પણ લહેકાવ્યો છે. સરવાળે આખું ગીત સુપથ્ય બની રહે છે.

Comments (3)

બાળક યાદ કરે છે – અગ્નિશેખર (હિન્દી) (અનુ. સિતાંશુ યશશ્ચન્દ્ર)

શું થયું હતું એ બાવરી બાવરી હવામાં
આપણા પરિવારનું, બાપુ!
આખું ગામ કેવું ડરી ગયું હતું,
નદી પણ ભાગી ગઈ હતી
રામભરોસે છોડીને ચિનારનાં ઝાડને.

શેરીઓમાં હજારો કાગડાઓનું બુમરાણ મચ્યું હતું
ને આપણે હતાં
છાપરા વગરના ઘરમાં.
કોઈ વેલી પર બચેલા
લીલી દ્રાક્ષના આખરી ઝૂમખા જેવાં.

રોતી’તી મા,
રોતી’તી દાદી,
નાનકો પણ રોતો’તો,
રોતી’તી કાકી,
ને તમે હાથ જોડીને બધાંને ચૂપ રહેવા કહેતા’તા

દીવા બધા ઓલવી નખાયા હતા,
ચુપકીદી છવાઈ ગઈ હતી,
ગલીઓમાં જાણે કોઈ ખૂબ બધા ફટાકડા ફોડતું હોય
એવા અવાજો આવતા હતા, ત્યારે.

બાપુ, ગઈ કાલે “દૂરદર્શન’ પર બતાડતા હતા
કાશ્મીરને!
બરફભર્યા પહાડો, સરોવરો, ઝરણાં, લીલાંછમ મેદાનો…

ત્યારે, મને થયું, કે આપણે,
પીળાં પાંદડાં છીએ, ઝાડુના એક ઝાટકે
ઉસેટાઈ ગયેલાં,
ઠલવાયેલાં આ કૅમ્પોમાં.

બાપુ, અહીંથી પણ આપણને
ઉડાવી લઈ જશે હવા?

– અગ્નિશેખર (હિન્દી)
(અનુ. સિતાંશુ યશશ્ચન્દ્ર)

કેટલીક રચનાઓ આસ્વાદની મહોતાજ હોતી નથી. આ કવિતા શેના વિશેની છે અને શું કહી રહી છે એવું કશું અલગથી કહેવાની જરૂર જણાય છે? કવિતાના શબ્દ-શબ્દેથી જે પીડા નીંગળે છે એ આપણને ઘાયલ ન કરી જાય તો જ નવાઈ…

Comments (9)

સાંજ પડી – રણજીતભાઈ મો. પટેલ ‘અનામી’

સાંજ પડી ન પડી ત્યાં પંખી પળતાં નિજ નિજ માળે,
ના કેડી કંડારી ગગને, કેમ કરીને ભાળે?
સાંજ પડી…

સાંજ પડી ને ઢળતો સૂરજ, પશ્ચિમને પગથારે,
અન્તરને અણસારે સરકે, સપનાંને સથવારે
સાંજ પડી…

સાંજ પડી ને રમતું બાળક ભમતું નિજ ઘર આવે,
જનનીના પાલવમાં સરકી મરકી મુખ મલકાવે
સાંજ પડી…

સાંજ પડી ને અધખીલેલી કલિકા પલ્લવ પોઢે,
તેજ-મોગરે અંકિત નભનો ઉપરણો ઓઢે
સાંજ પડી…

સાંજ પડી ને અનામ પંખી અભિનવ અવાસ શોધે,
જીર્ણ પિંજરને પરહરીને નવતર ની શું ખોજે?
સાંજ પડી…

– રણજીતભાઈ મો. પટેલ ‘અનામી’

વીસમી સદીના પ્રારંભકાળમાં થઈ ગયેલા અને ઓછા જાણીતા થયેલા કવિની કલમે એક સાંધ્યચિત્ર આજે માણીએ. કોઈપણ પ્રકારના પાંડિત્ય કે ભાષાડંબર વિના કવિ ઢળતી સાંજના નાનાવિધ આયામોને કવિતાના કેનવાસ પર આલેખે છે. રોજ સાંજ પડતાં પોતપોતાના માળામાં પરત ફરતાં પંખીઓને જોઈને કવિને કૌતુક થાય છે, આકાશમાં તો કોઈ કેડી કંડારાયેલ નથી, તો તેઓ કઈ ‘ગૂગલ મેપ્સ’ના આધારે પોતાનો માર્ગ જોઈ શકતાં હશે! સુરતના કવિશ્રી હરીશ ઠક્કરનો એક શેર આ ટાંકણે યાદ આવે: ‘પંખીનાં કદી આભમાં પગલાં નથી પડતાં, તેથી જ બીજાં પંખીઓ ભૂલાં નથી પડતાં.

Comments (1)

કાગળ લખીએ – રાજેન્દ્ર મહેરા ‘રાજ’

ચાલ સખી રે કોરેકોરો
અમથે અમથો કાગળ લખીએ,
શ્રાવણનાં સરવરિયાં ઝીલી
ઝરમર ઝરમર વાદળ લખીએ.
.                       … ચાલ સખી રે…

દૂર દૂર ગરમાળે બેસી,
પ્રેમ સરોવર પાળે બેસી;
ઊતરતાં અંધારાં ઓઢી
યાદોને અજવાળે બેસી.
કો’ક સવારે, ધુમ્મસ ઓથે
કાલુંઘેલું ઝાકળ લખીએ
.                       … ચાલ સખી રે…

સૂનાં ખેતર, સૂનો વગડો
સૂની વનની કેડી લખીએ,
સૂનાં ફળિયાં, સૂનો ડેલો
સૂની મનની મેડી લખીએ.
આંખ ચૂવે ઝીણા મૂંઝારે
ભીનું ભીનું કાજળ લખીએ.
.                       … ચાલ સખી રે…

– રાજેન્દ્ર મહેરા ‘રાજ’

કવિનું નામ પહેલવહેલીવાર સાંભળ્યું, પણ ગીત વાંચતાવેંત મનમાં વસી ગયું. સરળતમ બાની, પ્રવાહી લય અને રસાયેલ લાગણીઓની સહજાભિવ્યક્તિના કારણે ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. મનના માણીગરને દિલનો હાલ લખી મોકલવાની ઝંખામાંથી ગીત જન્મ્યું છે, પણ પ્રણયમાં સ્ત્રીસહજ સંકોચ પ્રારંભથી જ વર્તાય છે. કાગળ તો લખવો છે, પણ કોરેકોરો અને અમથે અમથો. કોરો કાગળ વાંચી શકે એ જ સાચો પ્રેમ. જીવનમાં તો અભાવનાં અંધારાં ઊતરી આવ્યાં છે. આવામાં કશાનું અજવાળું હોય તો તે કેવળ યાદોનું જ. ખેતર-વગડાથી લઈને મનની મેડી સુધી બધે જ સૂનકાર પ્રવર્તે છે. હૃદય ઝીણો ઝીણો મૂંઝારો અનુભવે છે ને આંખો ચૂઈ રહી છે, કાજળ વહી રહ્યું છે તો ભીનાં ભીનાં કાજળથી જ પ્રેમપત્ર લખીએ ને!

Comments (6)

હોળી ગીત – ઉદયન ઠક્કર

હવે હઠ છોડી ઊતરોને હેઠા,
કે ચોરટાઓ ‘ખૂલ જા સમ સમ’
કહી સરસરાટ ચિત્તડામાં પેઠા
…મહિલા–વિભાગનું પાનું ખોલીને, તમે છાપું વાંચો છો બેઠા બેઠા?

તમારે આ સોળમું વરસ ચાલ્યું જાય
એમાં શણગારો સોળ ઉમેરાય
પછી બત્રીસ લખણાઓ જો આવે
તો ખોટું શું? સરવાળો સાચો કહેવાય

અલ્લડપણાની આજુબાજુમાં બેસીને, તોતડાઓ કવ્વાલી ગાતા,
લહેરખીને રાતી ને પીળી કરી જાતા,
તરસ મારી બાઘી
તે શિયાવિયા થઈને બેઠી છે જરી આઘી
નથી એટલુંયે એને સમજાતું કે છાંટવાનાં પાણી નથી રે પિવાતાં

આજ એવાં કૌતુક અમે દીઠાં
ચાખીને જોયા, તો મોટા મોટા શેઠિયાઓ
માણસ જેવા જ લાગે મીઠા
એક તો પતંગિયાંઓ પાક્કાં પિયક્કડ, ને પાંખડીએ પાંખડીએ પીઠાં

– ઉદયન ઠક્કર

લયસ્તરોના તમામ ચાહક કવિમિત્રો અને ભાવકમિત્રોને હોળી પર્વની શુભેચ્છાઓ..

પરંપરિત ગીત સ્વરૂપથી સહેજ અલગ ચીલો ચાતરતું મજાનું હોળી ગીત આજે માણીએ. મુખડા અને પૂરકપંક્તિ વિનાનું ગીત ચાર બંધથી બન્યું છે. ત્રીજો બંધ પાંચ પંક્તિનો છે અને પહેલા અને છેલ્લા બંધ સિવાય કવિએ ચુસ્ત પણ ઉન્મુક્ત પ્રાસનિયોજના સ્વીકારી છે. પ્રચલિત ગીતની ભાષા કરતાં ભાષાની રુએ પણ આ રચના ઉફરી તરી આવે છે. અને ગીતની છેલ્લી પંક્તિ તો સ્વયં એક કવિતા છે..

Comments (3)

(સ્વીકાર) – ગૌતમ બુદ્ધ

હું તમને કહું છું તે ભૂતકાળમાં કહેવાયું હતું તે કારણે માનશો નહીં;
પરંપરાથી ઊતરી આવ્યું છે તે કારણે માનશો નહીં;
આમ જ હોય એવું માનીને તેનો સ્વીકાર કરશો નહીં;
પવિત્ર ધર્મગ્રંથોમાં છે તેથી તેને માનશો નહીં;
અનુમાનથી તે પુરવાર કરી શકાય છે તેથી તેને માનશો નહીં;
એમાં વ્યવહારુ ડહાપણ છે એવું માનીને સ્વીકારશો નહીં;
એ સંભવિત લાગે છે તેથી તેને સ્વીકારશો નહીં;
પ્રખ્યાત અને પવિત્ર સાધુએ કહ્યું છે તેથી તેને માનશો નહીં;
પરંતુ તે જો તમારા વિવેકને અને અંતરાત્માને સુખકર અને શ્રેયસ્કર લાગતું હોય
તો જ તેનો સ્વીકાર કરજો અને તેને લાયક બનજો.

– ગૌતમ બુદ્ધ

ગાંધીજીમા ‘હિંદુ ધર્મનું હાર્દ’ પુસ્તક (સંપાદક: વિશ્વાસ બા. ખેર)માંથી આ લખાણ મળી આવ્યું. આમ તો લયસ્તરો પર કવિતા સિવાયની પોસ્ટ ભાગ્યે જ મૂકીએ છીએ પણ આપણે ત્યાં તો પરાપૂર્વથી ગદ્ય અને પદ્ય –ઉભયને કાવ્ય તરીકે સ્વીકૃતિ સાંપડી છે. काव्यं गद्यं पद्यं च तद्विधा। (ભામહ) પ્રસ્તુત લખાણ કોઈ સમજૂતિનું મહોતાજ નથી. આમેય બુદ્ધે પોતાની વાત હંમેશા સરળતમ શબ્દોમાં જ કહી છે. આવી એકાદ વાત જીવનમાં ઉતરે તો જીવન નંદનવન બને.

Comments (6)

(એ જ વિચારે) – ઉર્વીશ વસાવડા

ક્યારે ઊઘડે એ જ વિચારે,
હું ઊભો છું એનાં દ્વારે.

સાવ એકલું કાં લાગે છે?
ચાલું છું હું સહુની હારે.

જે ખોવાયું અજવાળામાં,
એને શોધું છું અંધારે.

મુઠ્ઠીમાં તો ખાલીપો છે,
દુનિયા છોને કંઈ પણ ધારે.

કોક અકળ હેતુથી મારું,
પરિભ્રમણ ચાલે સંસારે.

– ઉર્વીશ વસાવડા

ટૂંકી બહરમાં સરસ ગઝલ. પાંચેય શેર ઊંડું મનન માંગી લે એવા સરસ મજાના થયા છે.

Comments (4)

સાદ ના પાડો – ચંદ્રકાન્ત શેઠ

બારીમાંથી ગગન પાડતું સાદ!
.                          સાદ ના પાડો.
અમે દીવાલો, નથી અમારે પાંખ:
.                          સાદ ના પાડો.

સૂનકારને સાગર અમને ડૂબ્યાં જાણો વ્હાણ,
ક્યાંથી જાણો તમે અમોને છે પથ્થરના કાન?
પડછાયાની આંખો, એને નથી તેજની જાણ:
.                                             સાદ ના પાડો.

જલ છોડીને કમલ આવશે ક્યાંથી રે આ રણમાં?
ખરી ગયેલું ફૂલ ખીલશે ક્યા કિરણથી વનમાં?
ઘુવડનાં માળામાં આવી સૂરજ પાડે સાદ!
.                                                 સાદ ના પાડો.
.                      અમે દીવાલો, નથી અમારે પાંખ:
.                                                 સાદ ના પાડો.

– ચંદ્રકાન્ત શેઠ

સંવેદના ગુમાવી બેઠેલા માણસોનું રાષ્ટ્રીય ગીત બની શકે એવી અદભુત રચના. મનુષ્યનું બહારની દુનિયા સાથે પુનઃસંધાન કરી આપવાની વ્યવસ્થાનું બીજું નામ જ બારી. બારણાં કેવળ આવજા માટે વપરાય, પણ બારીનો હાથ ઝાલીને આપણે અસીમ આકાશની સફરે ઊપડી શકીએ છીએ. કંઈ એમનેમ મીરાંબાઈએ ગાયું હશે કે, ઊંચે ઊંચે મહલ બનાઉં, બીચ બીચ રાખું બારી? દીવાલો જેવી આપણી જડ સંવેદનાની વચ્ચે ક્યાંક લાગણીની એકાદી બારી ભૂલથી રહી ગઈ હોય એને પ્રકૃતિ સાદ દઈ રહી છે, પણ આપણી પાંખો તો દીવાલોમાં જ ચણાઈ ચૂકી છે, એટલે આપણે એમ જ કહેવું પડે ને કે અમને સાદ ના પાડો! સૂનકારના સાગરમાં ડૂબી ચૂક્યાં હોય એવાં વ્હાણ છીએ આપણે. આપણાં કાન પણ પથ્થરનાં. પડછાયાના અંધારની બનેલી આપણી આંખોને તેજની જાણ કઈ રીતે હોય? ઘુવડના માળામાં આવીને સૂરજ સાદ પાડે તો કોણ સાંભળે?! પથ્થર થઈ ગયેલી ચેતનાને સંકોરતું-ઝંઝોડતું આ ગીત એના પ્રવાહી લય અને ચુસ્ત બાંધાને લઈને વધુ સંતર્પક બન્યું છે.

Comments (4)

બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

જીવનના જે વળાંકે આવીને ઊભો છું હું ત્યાંથી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!
ફગાવી દઈ બધા કિંતુ-પરંતુઓની વરણાગી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

મળ્યા જે પણ મને રસ્તામાં એ હરએક પાસેથી વધારે નહીં તો ઓછું પણ સતત મેં લીધે રાખ્યું છે,
જીવનભર ભેગાં કીધાં એ બધાંયે પોટલાંમાંથી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

કોઈએ ઈર્ષ્યા આપી છે, કોઈએ શંકા ચાંપી છે, કોઈએ દ્રોહ, શ્રદ્ધાભંગ કે અપમાન આપ્યા છે;
કશું નહિ છોડવાની લ્હાયમાં અંતે ગયો થાકી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

મળ્યાં જે માન-કીર્તિ, સાચાં-ખોટાં રામ જાણે પણ, અહમ્ પાશેરથી વાધ્યો, થયો તે શેર-તોલો-મણ;
અખા! હલકાથી ભારીની એ તારી શીખને માની બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

વિતાવી છે ઘણી રાતો ઉઘાડી પાંપણો સાથે, કશું હાંસિલ થયું નહિ, બસ, કરચલીઓ પડી માથે;
ચિતાથી ભૂંડી ચિંતાને બનાવી શાથી મેં સાથી? બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

હવે રહીરહીને સમજાયું રહ્યો છું ઠેરનો ઠેર જ, કશે પહોંચી શકાયું ક્યાં ઉપાડી મનમુટાવોને?
રહે ગજગ્રાહમાં જે વ્યસ્ત એ આગળ વધે ક્યાંથી? બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

ગયાં એને નમન છે, ને જે આવ્યાં એને પણ વંદન; દીધાં હો ફૂલ કે પથ્થર – એ સઘળાંને નમું છું હું;
બધા માટે હૃદયમાં એકસરખી લાગણી રાખી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

અરીસામાં પ્રથમવાર જ સ્વયં સામે નજર માંડી, કહ્યું એણે, ભીતર તો જો, પછી બનજે જગતકાજી;
સ્વીકાર્યું મેં, નમાવ્યું સિર, કહ્યું, ‘હા જી અરીસાજી! બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!’

તું બાવનબા’રો છે એ વાત લાગે છે હવે સાચી, મને પણ બાવને પહોંચ્યા પછી સાચી સમજ લાધી;
ભલે મોડી તો મોડી પણ સમજ જ્યારે ખરી આવી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

– વિવેક મનહર ટેલર
(૧૧/૧૬-૦૮-૨૦૨૩)

તિલક કરતાં ત્રેપન વહ્યાં, તંઈ જંઈ આ બ્રહાજ્ઞાન લાધ્યું, અખા!
બધા ગજગ્રાહ છોડી જીવતાં શીખો એ જ સાચું જીવન, સખા…

Comments (3)

(ભાન થવાનું) – વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

આજ નહીં તો કાલ થવાનું,
વહેલું મોડું ભાન થવાનું.

અડચણ તો થોડી આવે પણ,
થાય શરૂ જો કામ, થવાનું.

એક અગર થાશું તું ને હું,
સામે આખું ગામ થવાનું.

ત્યાગ અને કષ્ટો જાણીને,
પડતું મૂક્યું રામ થવાનું.

આંખોની મસ્તીથી દિલમાં
થોડું તો રમખાણ થવાનું.

આજ ગમ્યું જે મનને થોડું,
કાલે એ અરમાન થવાનું.

– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

*

એક મુક્તક સાથે આજની વાત માંડવી છે:

સ્નેહ છે અગ્નિના જેવો સાવધાન સદા રહો
અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે. (?મનસુખલાલ ઝવેરી)

કવિની ક્ષમાયાચના સાથે આમ કહી શકાય:

સરળતા છે અગ્નિના જેવી, સાવધાન સદા રહો,
અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે.

કવિતામાં સરળતા અગ્નિ સમી છે. માફકસર ન હોય તો અસર ન કરે અને વધુ પડતી હોય તો દાહક બની રહે. કવિતા જ ખતમ થઈ જાય. હવે અહીં પ્રસ્તુત ગઝલ જોઈએ. માફકસરના સરળ શબ્દો અને સહજ શૈલીમાં કવિએ સ-રસ કેવી મજાની ગઝલ કહી બતાવી છે! રચના સહજસાધ્ય હોવાથી એના વિશે વિશેષ કહેવાની આવશ્યકતા અનુભવાતી નથી.

Comments (12)

(અનુભવનું રોકડું નીકળ્યું) – રઈશ મનીઆર

આ ખાલી ખિસ્સાને ખંખેરતાં ઘણું નીકળ્યું
સિલક સફરની, અનુભવનું રોકડું નીકળ્યું

મરી જવાનું થયું મન, એ ક્ષણ વિતાવી લીધી
પછીની ક્ષણમાં ઘણું જીવવા સમું નીકળ્યું

તળાવ થઈ તું પહાડોની ભીંસમાં જીવ્યો
મળ્યો જો ઢાળ તો તારું નદીપણું નીકળ્યું

ભલે હું કંઈ જ ઉમેરી શક્યો ન મારામાં
છતાં જે ઘર કરી બેઠું’તું, એ ઘણું નીકળ્યું

અમીર દોસ્ત! આ પૈસાના ઢગની નીચેથી,
ખમીર તારું જો નીકળ્યું, ગરીબડું નીકળ્યું

– રઈશ મનીઆર

પાંચશેરી જેવા પાંચ શેરની દમદાર ગઝલ. કયા શેર પર આંગળી મૂકવી અને કયા પર નહીં એ નક્કી કરવું દોહ્યલું થઈ પડે એ જ ઉત્તમ ગઝલનું લક્ષણ. હળવે હાથે દરેકેદરેક શેર ખોલવા જેવા અને ગૂંઠે બાંધી રાખવા જેવા.

Comments (24)

મધ્યાહ્ને કોયલ – નંદિતા મુનિ

મારી બારીએ ઝૂકેલી ડાળી ૫૨ બેસીને
બપ્પોરે કોયલનું બોલવું-
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું

ધીખતા બપો૨માં સળગે સૂનકાર,
ચૂપ થૈ બેઠી ધરતી આ આખી,
સૂરજની આણ બસ કોયલ-ગુલમ્હો૨-
આ બન્ને બાગીએ નથી રાખી-
કોયલ તો ગાતી કંઠ મોકળો મૂકીને,
મૂંગા ગુલમ્હોરે રંગોનું બોલવું,
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું

મળે એક પીંછું કે પાંખડી, તો હુંય કરું
સૂરજની સામે ધીંગાણું,
કહી દઉં કે તું તારે તપી લે તપાય એવું,
મારી પાસ ગુલમ્હોરી ગાણું
રંગ લૈ, સૂર લૈ, રાગ લૈ આગમાં
મારે તો ફક્કડ કલ્લોલવું,
એ મધની મીઠાશ, અરે મદની મીઠાશનું
મૂલ મારે કેમ કરી તોલવું

– નંદિતા મુનિ

ઉનાળો આંગણે આવીને ઊભો છે. થોડા દિવસોમાં સૂરજદાદા આગ ઓકવું આરંભશે અને ધીખતી બપોરે ગામો અને શહેર બધે કેવળ સૂનકાર સળગતો દેખાશે. પણ આવી બળબળતી બપ્પોરે એક કોયલ અને એક ગુલમહોર – આ બે જ બાગીઓ સૂરજની આણ સ્વીકારતા નથી. કોયલ પાસે તો કંઠ છે એટલે એ નફકરી થઈ મોકળા સ્વરે ગાય છે, અને ગુલમહોર પાસે કંઠના સ્થાને રંગ છે, એટલે એ જેમ સૂરજ વધુ તપે એમ વધુને વધુ ખીલે છે. કવયિત્રીની બારી પર ઝૂકેલી ડાળ ઉપર બપોરે કોયલ જે ટહુકા કરે છે એની મદભરી મીઠાશનું મૂલ તોલી શકાય એમ નથી, કારણ આ ‘કૉમ્બિનેશન’ એમના માટે પ્રરણાદાયી સિદ્ધ થયું છે. કેવળ કોયલનું એક પીંછું કે ગુલમહોરની એક પાંખડી પણ મળી જાય તો તેઓ સૂરજ સામે ધીંગાણું માંડવા તૈયાર છે.

Comments (6)

બાકી છે – રીનલ પટેલ

હજીયે આ તરફની ભીંત બાકી છે,
હજી થોડી ઘણી ઉમ્મીદ બાકી છે.

હજી રમવાને આવે કહાન ગોકુળમાં,
હજી રાધા-રમણની પ્રીત બાકી છે.

અમે છેડ્યો છે એ આલાપ છે કેવળ,
અમારે ગાવું છે એ ગીત બાકી છે.

મળી છે હાર જીવનમાં અનેકોવાર,
હજી હાર્યા પછીની જીત બાકી છે.

કદી આવેશમા બોલ્યા નથી સામે,
હજીયે મૌનમાં એક ચીસ બાકી છે.

– રીનલ પટેલ

ભીંત હોય તો તૂટવાની શક્યતા પણ હોય. કદાચ એટલે જ વધુ નહીં તોય થોડી ઘણી આશા હજી બચી રહી છે એમ કવયિત્રીને લાગી રહ્યું છે. આલાપ અને ગીતવાળો શેર તો શિરમોર થયો છે. જે ઘડીએ આપણને એમ લાગે કે આપણે આપણું શ્રેષ્ઠ આપી દીધું છે, એ ઘડીએ આપણો વિકાસ સ્થગિત થઈ જાય છે. “લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ- ‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’

Comments (3)

(ના ગઈ) – લિપિ ઓઝા

રોજની માફક એ આજે ના ગઈ,
સાંજની પળ સાંજ સાથે ના ગઈ.

જાણ થઈ એને ઘણાં વર્ષો પછી,
ટ્રેન ખાલી ગઈ હતી,એ ના ગઈ.

સ્વપ્નમાં ફૂલો બધાં ઊડી ગયાં,
એક કળી રહી ગઈ સવારે, ના ગઈ.

કોઈ અંગત દૂર થઈને થાય ના,
ગઈ પનોતી એમ જાણે ના ગઈ.

સ્ત્રી ખરી ને! એટલે રોકાઈ ગઈ,
‘સ્તબ્ધતા’ સાથે સ્મશાને ના ગઈ.

ભૂલકાનો ભોગ લેવાયો પછી,
તે નદી ક્યારેય કાંઠે ના ગઈ.

અંધતા સીમિત નથી આંખો સુધી,
છે કયું એ અંગ જ્યાં તે ના ગઈ!

– લિપિ ઓઝા

એક સજ્જ કવયિત્રીની સશક્ત રચના આજે મહિલા દિવસના ઉપક્રમે માણીએ…

Comments (5)

સાંત્વના – ક્લેરિસા સ્કૉટ ડેલેની (અનુ.: વિવેક મનહર ટેલર)

મારી બારી બહાર ઝાડી તરફ ખુલે છે
અને ડાળીઓ તથા આકાશથી બનેલી
એ નાનકડી જગ્યામાંથી
હું જોઉં છું કે પસાર થતી ઋતુઓ
કોમળ હરિયાળીને ગાઢા ભરાવદાર પાંદડાઓ માટે
માર્ગ પ્રશસ્ત કરતી નીરખે છે.
શરદ ઋતુનો ખરો મહિમા ત્યારે પ્રકટ થાય છે
જ્યારે સૌમ્ય તડકામાં તરબોળ
નાજુક, સોનેરી પાંદડાઓ
નિરભ્ર ભૂરા આકાશની પશ્ચાદ્ભૂ સામે
બપોરના જાદુ સામે ટકી રહે છે
અને પછી અનિચ્છાએ તૂટી જાય છે
અને શેરીને સોનાથી મઢી દેવા માટે
બધે પથરાઈ વળે છે.
પછી ઉઘાડી, ભૂખરી શાખાઓ
ડિસેમ્બરના ઠંડા આકાશની સામે
સ્વયંને ઊંચે ઊઠાવે છે
ક્યારેક ગુલાબ અને સમીસાંજના આથમતા ઓળામાં
એક જાળ ગૂંથતી તો
ક્યારેક એ ગાઢા ભૂરા આકાશ પર સવાર થતા
નૂતન શીર્ણ ચંદ્ર
અને તેજસ્વી તારા સામે,
જે ભારઝલ્લી રાત ઊતરી આવે, અથવા તારાઓ
આકાશને ભૂરકીથી ભરી દે એ પહેલાં દૃષ્ટિગોચર થવા માંડે છે.
હવાઓ આ વૃક્ષો સાથે ટકરાય છે;
વસંતનો ઠંડો, પરંતુ હળવો વરસાદ
એમને મૃદુતાથી સ્પર્શે છે;
ઉનાળાની ઝડીઓ
એમને પ્રકોપિત કરવાના
અને એમને તોડી નાંખવાના પ્રયાસો કરે છે-
પરંતુ તેઓ અડીખમ ઊભાં રહે છે.
મારી જિંદગી વિહ્વળ છે
અને એક બેચેની, ક્યારેક ક્યારેક
એક પીડા- ફરીથી એક અસ્પષ્ટ
અને ચોંકાવનાર અસંતોષ
મારા પર હાવી થઈ જાય છે.
હું આભારી છું મારા હિસ્સાના આકાશ
અને વૃક્ષો માટે, અને ઋતુઓના
બદલાતા તમાશા માટે.
આવી સુંદરતાથી હૃદય પર છવાઈ જાય છે
એક શાતા.
આ પ્રકારના શાશ્વત પરિવર્તન અને સ્થાયીતા
તમામ ઉથલપાથલમાંથી એક અર્થ ગ્રહણ કરે છે
અને રહી જાય છે કેવળ શાંતતા
જે કોઈ પીડાને જાણતી નથી.

– ક્લેરિસા સ્કૉટ ડેલેની
(અનુ.: વિવેક મનહર ટેલર)

વિકાસની કાતર વડે શહેરોએ મનુષ્યોને પ્રકૃતિ સાથે જોડતી નાળ કાપી નાંખી છે. જીવનની આપાધાપી અને ઉથલપાથલો વચ્ચે શાંતિ અને સુખ પ્રાપ્ત કરવાનો એકમેવ ઉપાય છે પ્રકૃતિ સાથેની કપાઈ ગયેલી ગર્ભનાળ સાથે પુનર્સંધાન કરવું. કુદરતની કિતાબમાં જીવનના તમામ રહસ્યો અને એનો ઉકેલ લખેલો જ છે, એને વાંચતા શીખી લે એ જ બુદ્ધત્વ પામી શકે. સોએક વર્ષ પહેલાં માત્ર ચાર જ કવિતા લખીને છવ્વીસ વર્ષની વયે આ દુનિયાને બાય-બાય કરી જનાર કવયિત્રીની એક રચના આજની ગ્લૉબલ કવિતામાં આસ્વાદીએ…

રચનાનો વિશદ આસ્વાદ માણવા અહીં ક્લિક કરશો.

Solace

My window opens out into the trees
And in that small space
Of branches and of sky
I see the seasons pass
Behold the tender green
Give way to darker heavier leaves.
The glory of the autumn comes
When steeped in mellow sunlight
The fragile, golden leaves
Against a clear blue sky
Linger in the magic of the afternoon
And then reluctantly break off
And filter down to pave
A street with gold.
Then bare, gray branches
Lift themselves against the
Cold December sky
Sometimes weaving a web
Across the rose and dusk of late sunset
Sometimes against a frail new moon
And one bright star riding
A sky of that dark, living blue
Which comes before the heaviness
Of night descends, or the stars
Have powdered the heavens.
Winds beat against these trees;
The cold, but gentle rain of spring
Touches them lightly
The summer torrents strive
To lash them into a fury
And seek to break them—
But they stand.
My life is fevered
And a restlessness at times
An agony—again a vague
And baffling discontent
Possesses me.
I am thankful for my bit of sky
And trees, and for the shifting
Pageant of the seasons.
Such beauty lays upon the heart
A quiet.
Such eternal change and permanence
Take meaning from all turmoil
And leave serenity
Which knows no pain.

– Clarissa Scott Delany

Comments

યુગલ ગીત – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

તમે નથી ઝાકળનાં ટીપાં
તમે અમારા દરિયા
સજની! અમે ભીતરમાં ભરિયા…

કમળફૂલની સૌરભ જેવાં
અજવાળાં પાથરિયાં
રસિયા! ભીતર તમે ઊતરિયા…

ફરફરતા મખમલી પવનમાં કેશ ઘટાઓ ફરકે
પાંપણની પરસાળે સજની! ટપટપ નીંદર ટપકે

સપનામાં સંતાઈ જઈને
મધરાતે પરહરિયા
રસિયા! કીકીમાં તરવરિયા…

કળીએ કળીએ ચાંદલિયાનું રેશમિયું જળ ઓઢ્યું
સરવરના તળિયે જઈ રસિયા! મૌન રૂપાળું પોઢ્યું

મેઘધનુની ચૂંદડી ઓઢી
અચરજ શું ઝરમરિયા
સજની! ઝાકળમાં અવતરિયા…

– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

મજાનું યુગલ ગીત. દરેક બંધમાં આવતા ‘રસિયા’ અને ‘સજની’ના સંબોધનને લઈને કોણ કોને સંબોધી રહ્યું છે એ તુર્ત જ સમજાય છે. પ્રેમી માટે એની પ્રેયસી ઝાકળના ટીપાં જેવી સીમિત નહીં, પણ દરિયા (તેય બહુવચનમાં, હં કે!) સમી અસીમ અનંત છે, જેને પ્રેમીએ પોતાની ભીતર સમાવ્યા છે. તો સામા પક્ષે સજની પણ રસિયાને ઠેઠ પોતાની ભીતર વસતો અનુભવે છે, અને એનું ભીતર રસિયાએ પાથરેલ સુગંધના અજવાળાંથી જ વળી રોશન થયું છે. આખું ગીત બહુ મજાનું થયું છે. બે જણ વચ્ચેનો સમ-વાદ અને એકમેકને મોટા કરવાની ચેષ્ટામાંથી પ્રણયની તીવ્રતર અનુભૂતિ જન્મે છે, જે આપણને ગીત વાંચતાવેંત સ્પર્શી જાય છે.

Comments (11)

નિર્મિશાંજલિ :૦૩: મલે નીં મલે – નિર્મિશ ઠાકર

નડીની રેલમાં ટરટું નગર મલે નીં મલે,
ફરી આ ડ્રસ્ય સ્મૃતિપટ ઉપર મલે નીં મલે.

અરે કાડવ ઠહે ટો ઉગહે એમાં બી કમર,
પછી આ માટીની ભીની અસર મલે નીં મલે.

પરિચિટોને ડઘાઈને જોઈ લેવા ડેવ,
એ કરડાં ઠોબડાં, ટ્રાંસી નજર મલે નીં મલે.

બઢા ડૂબી ગીયાં રસ્ટાઓ, બારીઓ, ભીંટો,
ટમે બી ડૂબહો પછી આ ઘર મલે નીં મલે.

ઉટરહે પૂર, પછી ફાટવાનો પ્લેગ ટરટ,
પછી કોઈને કોઈની કબર મલે નીં મલે.

ટને બી લૈ ડૂબે – એવાની આંગરી નીં પકડ,
બચી જહે ટું, ભલે હમસફર મલે નીં મલે.

વટનમાં હું મલે કે માઠું ભરી ડેઉં ‘નિમ્મેસ’?
ટને કાદવ જે મયલો, ઉમ્રભર મલે નીં મલે.

– નિર્મિશ ઠાકર

દિવંગત કવિને શબ્દસુમન અર્પવાના ઉપક્રમમાં આજે ત્રીજું અને હાલ પૂરતું આખરી સુમન. હાસ્યવ્યંગ અને પ્રતિકાવ્યો બાબતે ગુજરાતી ભાષામાં એમનો જોટો જડે એમ નથી. ગુજરાતી કવિઓને ભાગ્યે જ નસીબ થાય એવા અદકેરા કદ-કાઠીના સ્વામી નિર્મિશભાઈના વ્યંગકાવ્યો જેટલા પોંખાવા જોઈએ એટલા પોંખાયાં નહીં. કદાચ એ કારણે જ કે ગુજરાતી સાહિત્યનો હાસ્ય સાથેનો સંબંધ સદાકાળ પાણીપાતળો જ રહ્યો છે. એમાંય પ્રતિકાવ્યો તરફ તો આપણું વલણ એને ઉતરતાં ગણીને હડે-હડે કરવા જેવું જ રહ્યું છે. પ્રતિકાવ્યનું સર્જન પોતે મૂળ રચનાની ઉત્તમતા અને પ્રસિદ્ધિનો સહૃદય સ્વીકાર છે. મૂળકાવ્ય અદભુત થયું છે એટલે જ એનું પ્રતિકાવ્ય રચાયું છે. મૂળ કાવ્યની મશ્કરી કરવાનો સર્જકનો હેતુ હોતો નથી એ આપણે સહુએ સમજવા જેવું છે. આદિલ મન્સૂરીની અમર ગઝલ ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’નો હાથ ઝાલીને કવિએ આપણને પ્યૉર હુરટી બોલીમાં ઉમદા પ્રતિકાવ્ય આપ્યું છે, એનો આનંદ લઈએ.

Comments (8)

નિર્મિશાંજલિ :૦૨: ત્રણ ટ્રાયોલેટ – નિર્મિશ ઠાકર

૧. ઇતિહાસને પાને

કેદ જેવું થઈ જશે ઇતિહાસને પાને ચડી
નામ મારું થઈ જતું યશવંત, ભૂંસી નાંખજે
ભૂતકાળે હું ન જીવું, હોય ના મારી કડી
કેદ જેવું થઈ જશે ઇતિહાસને પાને ચડી
હું ભૂલાઉં એ જ સારું! કેમ હું આવું જડી?
હોય જો અનિવાર્યતા તો પૃષ્ઠ કોરું રાખજે
કેદ જેવું થઈ જશે ઇતિહાસને પાને ચડી
નામ મારું થઈ જતું યશવંત, ભૂંસી નાંખજે

૨. રૂપાળા સહારા

બધા હાલ પૂછી લીધા મેં તમારા
મને રાહમાં જ્યાં મળી ગઈ હવાઓ
મળ્યા કલ્પનાને રૂપાળા સહારા
બધા હાલ પૂછી લીધા મેં તમારા
હતા કાફલા મ્હેકના એકધારા
હતી દૃશ્યમાં રૂપની કેં સભાઓ
બધા હાલ પૂછી લીધા મેં તમારા
મને રાહમાં જ્યાં મળી ગઈ હવાઓ

૩. તેજરેખા

સૂર્યાસ્ત તો થઈ જશે, જળમાં છતાંયે
રોકાય છે મૃદુલ બે ક્ષણ તેજરેખા.
સૌંદર્ય શું હૃદયમોહક એ વિદાયે
સૂર્યાસ્ત તો થઈ જશે, જળમાં છતાંયે
મૃત્યુ પછી ઘડીક હોઈશ હુંય પાસે,
અશ્રુ મહીં પ્રિય જરીક જ દૈશ દેખા
સૂર્યાસ્ત તો થઈ જશે, જળમાં છતાંયે
રોકાય છે મૃદુલ બે ક્ષણ તેજરેખા.

– નિર્મિશ ઠાકર

ગુજરાતી ભાષામાં ટ્રાયોલેટ લાવવાનું અને આખેઆખો સંગ્રહ આપવાનું શ્રેય કવિશ્રી નિર્મિશ ઠાકરને જાય છે. ગુજરાતી સાહિત્ય આ પ્રયાસ બદલ પણ એમને સદાકાળ યાદ રાખશે. ટ્રાયોલેટ વિશે સમજૂતિ આપતા કવિ કહે છે: “કાવ્યસ્વરૂપ ટ્રાયોલેટ એની વિશિષ્ટ પ્રાસરચનાને કારણે ધ્યાનાકર્ષક બને છે. એમાં કુલ આઠ પંક્તિઓ હોય છે. એની મુખ્ય એટલે કે પ્રથમ પંક્તિ કાવ્યમાં ત્રણ વાર આવે છે, એટલે કદાચ ‘ટ્રાયોલેટ’ નામ પડ્યું હોઈ શકે. એની પ્રથમ પંક્તિ ચોથા અને સાતમા સ્થાને પુનરાવર્તિત થાય છે, એ જ રીતે બીજી પંક્તિ આઠમા સ્થાને ફરીથી આવે છે. ટ્રાયોલેટની વિશિષ્ટ પ્રાસરચના આ રીતે મૂકી શકાય- 1. cat 2. dog 3. bat 4. cat 5. fat 6. hog 7. cat 8. dog.”

Comments (2)

નિર્મિશાંજલિ :૦૧: પુત્રને પહેલીવાર શાળાએ મૂકતી વેળા – નિર્મિશ ઠાકર

(મંદાક્રાન્તા-સૉનેટ)

ના દીવાલો, છત પણ નહીં, ઊડતું જાય આગે,
પાંખોને જે ‘બસ ચલ!’ કહે, આભલું એટલે શું?
શું છે ફૂલો? મઘમઘ થતા વાયરા એટલે શું?
ઊનો ઊનો રવિ અડકતાં ધુમ્મસો કે ભાગે?
ખીણો ભાળી તરત પડતું મેલતી ને ઝિલાતી
મેદાનોમાં, ઝલમલ નદી ખ્વાબ-શી કેમ લાગે?
– પૂછે નાનું વિહગ, કલશોરે સરી વૃક્ષ જાગે,
હું ભાળું આ અચરજભરી વારતાને વિલાતી!
છોડાવી મેં મૃદુલ કરથી આંગળી સખ્ત ઝાંપે,
જ્યાં પ્રશ્નોના નહિ, કદી નહિ, ઉત્તરો હોય સાચા!
જ્યાં ભૂંસાતી ક્ષણ ક્ષણ મહીં વિસ્મયોની જ ભાષા!
દેતો સાદો હજીય મુજને અંશ મારો જ, કાંપે.
ભીનાં પેલાં સગપણ લઉં આંખથી સહેજ લ્હોઈ,
ખોયા એણે કલરવ હવે, વૃક્ષતા મેંય ખોઈ!

– નિર્મિશ ઠાકર

(જન્મ: ૧૮ માર્ચ, ૧૯૬૦- નિધન: ૧૪ જાન્યુઆરી, ૨૦૨૪)
લયસ્તરો તરફથી કવિને ત્રણ દિવસની નિવાપાંજલિ….

હાસ્યવ્યંગના કાવ્યો, પ્રતિકાવ્યો, કેરિકેચર કાર્ટૂન્સ તથા ગનપટ હુરટીના કારણે બહુખ્યાત થયેલ નિર્મિશ ઠાકરે આપણને નોંધપાત્ર માત્રામાં ગંભીર અને ઉમદા કવિતાઓ પણ આપી છે. ફ્રેંચ કાવ્ય ટ્રાયોલેટને ગુજરાતીમાં આણનાર પણ તેઓ જ. સ્નેહરશ્મિએ જેમ હાઇકુ સંગ્રહ આપ્યા, એમ નિર્મિશભાઈએ આપણને ટ્રાયોલેટ સંગ્રહ પણ આપ્યો છે. આજે રજૂ કરીએ મંદાક્રાંતા છંદમાં લખેલ એક સૉનેટ. છંદના ચુસ્ત આગ્રહીઓ કદાચ એકાદ-બે યતિભંગ બદલ નાકનું ટેરવુંય ચડાવે અને શુદ્ધ ભાષાપ્રેમીઓને ‘ધુમ્મસો કે ભાગે’ જેવી એકાદી વાક્યરચના કદાચ કઠેય ખરી. પણ આપણે તો ભાવ પકડીએ.

વૃક્ષ પર મજાનું જીવન ગાળતું એક નાનું પંખી એના કલરવ ખોવાને આરે આવ્યું છે. કારણ? પિતાજી એને શાળામાં દાખલ કરવા લઈ જાય છે. બાપને ખબર છે કે સ્કૂલ એટલે અચરજભરી વાર્તાનું વિલયસ્થાન. સ્કૂલ એટલે એવી જગ્યા જ્યાં કોઈ પ્રશ્નોના સાચા ઉત્તર નહીં મળે, કદી નહીં મળે અને જ્યાં વિસ્મયની ભાષા ક્ષણેક્ષણે ભૂંસાતી રહેવાની છે. પણ સમાજવ્યવસ્થા સામે બાંય ચડાવવાની હિંમત ન હોવાથી ભીની આંખે બાપ ખુદ સંતાનને શાળાએ મૂકવા જાય છે.

Comments (4)

મૃત્યુ આજે મારી સન્મુખ છે – અજ્ઞાત (ઇજિપ્ત) (અનુ.: વિવેક મનહર ટેલર)

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જે રીતે બિમાર માણસ સાજો થાય,
જે રીતે લાંબી પથારી બાદ બહાર જવા મળે.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જાણે કે હીરાબોળની સુગંધ,
જાણે કે હવાદાર દિવસે સઢ નીચે બેસવું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જેમ કે કમળની સુગંધ,
જેમ કે નશાના કિનારે બેસવું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
એમ જાણે કે એક બહુખેડી કેડી,
એમ જાણે કે યુદ્ધથી ઘર પરત ફરતો માણસ.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
જેમ આકાશ અનભ્ર થાય,
જેમ કે જ્યારે એક માણસને ખબર પડે કે એણે શું અવગણ્યું હતું.

મૃત્યુ આજે મારી સન્મુખ છે
એમ જેમ વરસોવરસ કેદમાં સબડ્યા પછી
ઘર જોવા તરસતો માણસ.

– અજ્ઞાત (ઇજિપ્શન)
અંગ્રેજી અનુ.: મિરિઅમ લિચથાઇમ
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

આજે એક એવી કવિતાની વાત કરવી છે જેની અને આપની વચ્ચે એક તરફ ચાર હજાર વરસનું અંતર છે અને બીજી તરફ ચાર હજાર કિલોમીટરનું… ઇજિપ્તના કોઈ ખૂણામાં વસતા કોઈક માણસે ૪૦૦૦ વર્ષ પહેલાં લખેલી આ કવિતા આજે પણ એવી તરોતાજા લાગે છે, જાણે આજે સવારે જ ન લખાઈ હોય! ચાર હજાર વર્ષ પહેલાંની આ રચના આડકતરી રીતે આપણને એ પણ સમજાવે છે કે મનુષ્યનો સ્વભાવ શરૂથી જ ચિંતનાત્મક રહ્યો છે. જીવન અને મૃત્યુ વિશે મનુષ્ય અનાદિકાળથી વિચારતો આવ્યો છે.

રચનાનો વિશદ આસ્વાદ આપ અહીં માણી શકશો.

Death is before me today

Death is before me today
Like a sick man’s recovery,
Like going outdoors after confinement.

Death is before me today
Like the fragrance of myrrh,
Like sitting under sail on breeze day.

Death is before me today
Like the fragrance of lotus.
Like sitting on the shore of drunkenness.

Death is before me today
Like a well-trodden way,
Like a man’s coming home from warfare.

Death is before me today
Like the clearing of the sky.
As when a man discovers what he ignored.

Death is before me today
Like a man’s longing to see his home
When he has spent many years in captivity.

– Miriam Lichtheim
(Translation from Egyptian to English)

Comments

ગોઝારી વાવ – મનીષા જોષી

હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘ૨માં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે.
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે
અને હું એના મૃતદેહ ૫૨થી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.

રોજ રાત્રે યમરાજ આવે છે
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે,
પણ હું એને રજા નથી આપતી.

– મનીષા જોષી

એકદમ સરળ અને સહજસાધ્ય ભાષામાં કવયિત્રીએ નારીવેદનાની પરાકાષ્ઠા અભૂતપૂર્વ રીતે આલેખી છે. કવિતા સ્ત્રી સર્જકે લખી છે, એટલે નારીવેદના શબ્દ વાપર્યો નથી, પણ પુરુષોના શબ્દકોશમાં આ પ્રકારની લાગણી ભાગ્યે જ છપાયેલી જોવા મળતી હોવાથી એ સમાસ સહેતુક પ્રયોજ્યો છે. બે જણ અલગ થઈ ગયા છે અને બંને પોતપોતાના ઘરમાં જીવે છે. પુરુષ એના ઘરમાં સુખેથી જીવે છે એ વાતને સુખેથી શબ્દને મૂલ વાક્યથી અલગ તારવીને સર્જકે સાયાસ અધોરેખિત કર્યો છે. પણ હવે એ પુરુષ નાયિકા માટે મૃત્યુ પામ્યો છે અને નાયિકા રોજેરોજ આ પુરુષના અલગ-અલગ પ્રકારના મૃત્યુની અને એ મૃત્યુ પરત્વેની પોતાની લાગણીશૂન્યતાની કલ્પનાઓ કરતી રહે છે. પુરુષ છેડો ફાડી લે પછી એ ‘સુખેથી’ રહેવા માંડે છે, પણ સ્ત્રી છેડો ફાડીનેય છેડો ફાડી શકતી નથી. પુરુષના નિતનવીન મૃત્યુઓની રોજેરોજ કલ્પના કરવી પડે છે, કારણ એ પુરુષને અને એના અત્યાચારોને આ જનમમાં કદાચ એક પળ માટેય ભૂલી શકે એમ નથી. કવિતાના ઉત્તરાર્ધમાં સાવિત્રીનું પ્રતિક પ્રયોજીને સર્જકે ઉમદા કવિતા સિદ્ધ કરી બતાવી છે. સાવિત્રી યમરાજ પાસેથી સત્યવાનને પરત લઈ આવી હતી, એથી બિલકુલ વિપરીત આધુનિક યુગની આ સાવિત્રી યમરાજને પુરુષને લઈ જવાની રજા આપતી નથી. યમરાજ પણ પુરુષ જ છે અને એમના માટે ‘કરગરવું’ ક્રિયાપદ વાપરીને કવયિત્રીએ કવિતાને વધુ ધાર કાઢી છે. પુરુષનું મૃત્યુ હકીકતમાં થઈ જાય તો રોજેરોજ એના મૃત્યુની કલ્પના કરવાથી બદલો લીધો હોવાનો જે સંતોષ મળે છે એનુંય મૃત્યુ ન થઈ જાય?

Comments (18)

નાનકડા કાચબાની કથની – મકરન્દ દવે

ચાલ તારી ચાલજે તું,
ચાલ તારી ચાલજે તું
ચાલ તારી—
કેટલું માએ કહ્યું’તું? હાય, સારી
વાત કાં ભૂલી ગયો? આજે સવારે
જયાં નદીમાંથી જરા કરવા ચડી આવ્યો કિનારે
દૂર સસલું કૂદતું, જોઈ જરા
ઠેકવાનું મન થયુ, ઠેકી લીધું થોડું, ત્વરા
આવી ગઈ પગમાં, જરા ઊંચે નિહાળી
જોઉં તો બગલું ઊડે! કેવુ ઊડે! જાગી સફાળી
પાંખ મારે અંગ ત્યાં તો મા તણી
આવી શિખામણ યાદ, મારાં ઘર ભણી
પગલાં પડે ત્યાં પાંખ ફૂટે
પાંખ ફૂટે ત્યાં વળી પગમાં પડેલ કમાન છૂટે.
આ બપેાર થવા આવ્યો અને
કૂદકો મારું, પડું ઊંધો, તરફડું, ચીસ નાખું, રેતમાં સળગું
શેને હવે વળગું?
કોઈ આવી ઊંચકી લો; ઊંચકો કોઈ મને!

– મકરન્દ દવે

બાળકાવ્ય ગણી શકાય એવા સરળ નાનકડા કાવ્યમાં સંદેશો તો સ્ફટિક-સ્પષ્ટ જ છે, પણ રજૂઆતની શૈલી વધુ હૃદયંગમ થઈ છે. પહેલી નજરે અછાંદસ ભાસતી આ રચના હકીકતમાં છાંદસ કવિતા છે. કવિએ ખંડ હરિગીત (ગાલગાગા ગાલગાગા) પ્રયોજ્યો છે. ગઝલપ્રેમીઓ રમલ છંદ મુજબ પણ એનું પઠન કરી શકે. મોટેથી લયબદ્ધ પઠન કરશો તો વધુ મજા આવશે.

Comments

કુંજડી સૂતી – વિનોદ જોશી

કુંજડી સૂતી સોનાની ડોક પાથરી
રેશમી ટહુકાની ઓઢી રજાઈ.

માથે ઝળૂંબે એક ઝાડવું
ઝાડ એક વડલાનું ઝાડ,
અડધો ઓછાયો એના ઓરતા
અડધામાં આંસુની વાડ;

પાંદડું પડખું ફરે ને હલે ડાળખી
ડાળખીના અણસારે ઝૂલે વડવાઈ.

કાચી સોડમ કૂણો વાયરો
વાયરામાં તરતી મધરાત,
ઓચિંતાં ફૂલ એકસામટાં
ફાટફાટ મહેકયાં રળિયાત;

આભનો તાકો તૂટયો ને ખર્યું માવઠું
માવઠામાં ધોધમાર વરસી શરણાઈ.

– વિનોદ જોશી

વસંતપંચમી અને વેલેન્ટાઇન પર્વના પ્રેમભર્યાં વધામણાં…

રેશમી ટહુકાની સોનેરી રજાઈ જેવું જ સુંવાળું ગીત. ગીતના કેન્દ્રસ્થાને કુંજડી છે, પણ એને નાયિકાનું પ્રતીક પણ લેખી શકાય. જાત પાથરી દઈશ… હૈયું પાથરી દીધું વિ. રુઢિપ્રયોગો તો આપણે વ્યવહારમાં સાંભળતા આવ્યા છીએ પણ અહીં ડોક પાથરવાની વાત છે. સોનાની ડોક પાથરવાની વાત છે. વાત તો પ્રાણ પાથરવાની જ છે પણ એક તો પક્ષીના પ્રતીકના નિમિત્તે ડોક વધુ સુસંગત લાગે છે અને બીજું, વાત પ્રતીક્ષાની હોવાથી પણ એ વધુ તર્કસંગત લાગે છે. વડના ઝાડની નીચે કુંજડી કુંજના વિરહમાં સૂતી હોય એ દૃશ્ય કવિએ અદભુત ઉપસાવ્યું છે. તડકો હોય ત્યારે છાંયો પડે અને છાંયડો એટલે ઠંડક. પણ અહીં ઝાડનો ઓછાયો અડધો કુંજડીના અરમાનોથી તો અડધો એના આંસુઓથી રચાયો હોવાથી આ છાંયો તડકાથી પણ વધારે દાહક લાગે છે. ગીતકાવ્ય ઊર્મિપ્રવણ કાવ્યપ્રકાર છે અને અહીં સ્ત્રૈણભાવ કેન્દ્રમાં હોવાથી પ્રતીક પણ જેટલા નજાકતભર્યા હોય એટલું ગીત વધુ હૃદ્ય બને. પાંદડું પડખું ફરે એ કલ્પન જ કેટલું ઋજુ છે! પવનથી પાંદડું હલે એમાં કવિને એનું પડખું ફરતું દેખાય છે અને એટલા સળવળાટ માત્રથી ડાળખી હલે છે ને એના અણસારે વડવાઈ ઝૂલે છે… આખી પ્રક્રિયાના એકડા કવિએ ઊંધેથી ઘૂંટ્યા હોવાથી અનુભૂતિ વધુ હૃદયંગમ બને છે. કાચા-કૂણા સંયોગશૃંગારથી છલકાતી પ્રકૃતિથી પુરુષ ક્યાં સુધી અળગો રહી શકે આખરે? વણમોસમે પણ છાતી ફાડીને વરસવા મજબૂર કરી દે એ જ પ્રેમની સાચી તાકાત.

Comments (2)

કવિનું મૃત્યુ – હસમુખ પાઠક

ચોકની વચ્ચે પડેલા
એક ઉંદરના મરેલા
દેહ પર તીણા ઉઝરડા ન્હોરના
થીજી રહ્યા આજ ઠંડા પહોરના.
જોઉં છું હું, જોઉં છું હું.
જોઉં છું – જોતો નથી.
મારી નજર તો સાવ ખાલી,
આંખ જાણે કાચનો કટકો,
અને હું કાળજે કંપું નહીં
ને આ હૃદયમાં ક્યાંય ના ખટકો!
હવે તો બસ કરું.
જંપું અહીં.

– હસમુખ પાઠક

સારી કવિતા એ જે ઓછામાં ઓછા શબ્દોમાં પોતાની વાત ધારદાર રીતે રજૂ કરે અને જેમાંથી એકેય શબ્દ આમતેમ કે વધઘટ ન શકાય. આ રચના જુઓ. ‘કવિનું મૃત્યુ’ શીર્ષક ઘણું કહી જાય છે અને ગાડીના સીટ-બેલ્ટની જેમ આપણને કવિતાની બમ્પી-રાઇડ માટે તૈયાર પણ કરે છે. વહેલી સવારની ઠંડકમાં એક ઉંદર કોઈક સાથેની ઝપાઝપી બાદ મરણ પામ્યો હશે તે ચોકમાં એનું શબ હજીય પડી રહ્યું છે. કોઈએ એ શબ હટાવવાની તસ્દી લીધી નથી. કવિ પણ ઠંડા પહોરે ઘટેલી આ ઘટનાને ઠંડા કલેજે જોઈ રહ્યા છે. ‘જોઉં છું હું’ની ત્રિરુક્તિ ઘટનાને ‘કેવળ’ સાક્ષીભાવે જોવાની ક્રિયાને દૃઢીભૂત-અધોરેખિત કરે છે, પણ ત્રીજીવાર ‘જોઉં છું’ની વાત કરતી વખતે કવિએ હોંશિયારીપૂર્વક ‘હું’ને તિલાંજલિ આપી દીધી છે એ જોયું? બનેલી બીના વિશે કશું જ કર્યા વિના કેવળ મૂક દર્શક બનીને જોયા કરવાની ક્રિયા એ હદે લંબાય છે કે કર્તાનો લોપ થઈ જાય છે. અને પછી તો આ નપુંસક જોવું પણ લોપ પામે છે, જ્યારે કવિ કહે છે – ‘જોતો નથી.’ સામે પડેલ ઉંદરનો મૃતદેહ સામે જ મંડાયેલ હોવા છતાં નજર સાવ ખાલી થઈ જાય છે. હૃદયમાં કોઈ કંપ કે ખટકો સુદ્ધાં અનુભવાતો નથી. કવિ જ્યાં બસ કરું કહીને જંપવાની વાત કરે છે, ત્યાંથી આપણો અજંપો ન પ્રારંભાય તો સમજવું કે આ મૃત્યુ એ કેવળ કવિનું મૃત્યુ નથી, આપણે પણ મરી જ ચૂક્યા છીએ. હૈયું ફાટી પડવું જોઈએ એવી અનેક (દુર્)ઘટનાઓ આજે સરાજાહેર થતી રહે છે, પણ ઘટનાસ્થળે ઉપસ્થિત લોકો સક્રિય બનીને દુર્ઘટના નિવારવામાં મદદરૂપ થવાના સ્થાને રીલ ઉતારીને ફોરવર્ડ કરવામાં મચ્યા રહે છે… આ મૃત્યુ હકીકતમાં કવિનું નહીં, આખેઆખા સમાજનું મૃત્યુ છે.

આ રચના અછાંદસ નથી, હરિગીતમાં લખાયેલ છે. એનું મોટેથી પઠન કરશો તો વધુ મજા આવશે.

Comments (5)

(વિસામો આપવામાં) – લિપિ ઓઝા

દયાને આવકારો આપવામાં,
ગુમાવ્યું ઘર વિસામો આપવામાં.

પછી જો હાલ સામો એ પૂછે તો?
હતું જોખમ દિલાસો આપવામાં.

કદી લાગે છે કે મરવુંય પડશે,
‘જીવું છું’નો પુરાવો આપવામાં.

પછીથી આંખ આરોપીની વાંચી,
ઉતાવળ થઈ ચુકાદો આપવામાં.

મળ્યો સંતોષ જનસેવા કર્યાનો,
વિનામૂલ્યે તમાશો આપવામાં.

હલેસા એની પાસે રાખશે બસ,
નથી વાંધો તરાપો આપવામાં.

– લિપિ ઓઝા

સંઘેડાઉતાર રચના. દરેક શેર મનનીય.

Comments (4)

આંખો ભરાઈ જાશે – ‘અગન’ રાજ્યગુરુ

કોને ખબર છે ક્યારે તારી જુદાઈ જાશે,
લાગે છે વૃક્ષનાં સૌ પર્ણો ગણાઈ જાશે.

એવા વિચારે મારા છે શ્વાસ શ્વાસ રણઝણ,
એ આવશે ને પળમાં સઘળે છવાઈ જાશે.

એની નજર પડે આ સંયમ ઉપર તો સારું,
ઝાઝું હસાવશે તો શાયદ રડાઈ જાશે.

છે ભાગ્ય પર ભરોસો કે ચાલવા જશું તો,
રસ્તા વચાળે ઊંચી ભીંતો ચણાઈ જશે.

તો પણ મને છે આશા કાગળની નાવ પાસે,
જાણું છું મેઘ વધતાં હમણાં તણાઈ જશે.

તારા વિરહની પીડા એવી હદે વધી છે,
કે બોલવા જશું તો ગઝલો ગવાઈ જાશે.

મારા જીવન વિશે કૈં પૂછો નહીં તો સારું,
બાકી ‘અગન’ તમારી આંખો ભરાઈ જાશે.

– ‘અગન’ રાજ્યગુરુ

લયસ્તરો પર કવિના બીજા સંગ્રહ ‘તમારી રાહમાં’નું સહૃદય સ્વાગત. સંગ્રહમાંથી એક સરસ મજાની ગઝલ આજે આપ સહુ મિત્રો માટે…

‘(S)he loves me, (s)he loves me not’ કહીને ફૂલની પાંખડીઓ એક પછી એક તોડતાં જઈ પ્રિયજનની પ્રતીક્ષા કરતા પ્રેમીઓનો આપણને અનુભવ છે, પણ કવિતાની ખરી મજા ત્યારે છે જ્યારે આ નાનકડી ચેષ્ટા અતિશયોક્તિ અલંકાર બનીને વૃક્ષના તમામ પર્ણો ગણી લેવા સુધી વિસ્તરે. આખેઆખી ગઝલ જ સ-રસ થઈ છે, પણ લગભગ બધા જ શેર સહજ-સાધ્ય હોવાથી ગઝલને એના ભાવકોની મહેફિલમાં એમ જ રમતી મૂકવામાં વધુ મજા છે…

Comments (4)

હીંચકો, કૉફી અને હું – તુષાર શુક્લ

નવરાશ જ નવરાશ છે.
કૉફી સંગે ઝૂલવું, જમવું, ઝોકું ખાઈ લેવું,
પુનઃ કૉફી સંગે ઝૂલવું.
આખા ઘરમાં આ ગેલેરી ગમતો પ્રદેશ છે.
આમ ઘરમાં ને આમ બ્હાર.
ઓરડામાં જ રહેવાના સમયનું આકાશ સાથે અનુસંધાન રચે છે ગેલેરી.
ગમે છે મને અહીં.

અત્યારે તો બપોર છે.
પણ તડકે સારું લાગે છે.
વિચાર કરું છું કે
ગ્રીષ્મના આવા મધ્યાહ્ને આમ બેસાય કે?
કમાલ છે ને!
હું,
ઝૂલો,
ગેલેરી,
ઘડિયાળમાં સમય પણ એ જ,
ને આ સૂરજ મહાશય પણ એ જ હશે;
માત્ર કેલેન્ડરમાં મહિનો જૂદો,
ઋતુ જૂદી.
ને કેવું બધું બદલાઇ જાય છે!
હશે,
હાલ તો બેસાય છે તો બેસવું
તડકાનો નાનેરો ટુકડો ચગળું બેઠા બેઠા
કૉફી આવે ત્યાં સુધી.

– તુષાર શુક્લ

જરૂરી નથી કે અઘરા અઘરા શબ્દો અને વજનદાર પ્રતીકો વાપરીએ તો જ સારી કવિતા બને. સારી કવિતા તો ફકત લખાય છે દિલની જુબાનમાં. શહેરોએ વિકાસની કાતર વડે મનુષ્યોને પ્રકૃતિ સાથે જોડતી નાળ કાપી નાંખી છે. સિમેન્ટ-કૉંક્રિટના જંગલોની વચ્ચે ગેલેરી જ એક એવી ચીજ છે, જે કંઈક અંશે તો કંઈક અંશે પણ પ્રકૃતિ સાથે આપણું પુનઃસંધાન કરી આપે છે… જો કે જેમની અંદર થોડી સંવેદના બચી ગઈ છે, એવા લોકોના ઘરમાં જ ગેલેરી કપડાં સૂકવવા સિવાયના કામમાં પણ વપરાય છે. મકાનની ગેલેરીમાં મૂકેલા હીંચકા પર બેસીને એક કપ કૉફીની પ્રતીક્ષા શું કહી રહી છે એ સાંભળવા જેવું છે…. ગેલેરીમાં હીંચકે બેસી ઝૂલવું, કૉફી પીવું અને ઝોકું સુદ્ધાં ખાઈ લેવું કથકની મનગમતી પ્રવૃત્તિ છે, કારણ કે ગેલેરી જ આકાશ સાથેનું અને એ મિષે કુદરત સાથે તાદાત્મ્ય સાધવામાં નિમિત્ત બને છે. પણ કથકના વિચાર કેવળ હીંચકો, કૉફીઅને જાત પૂરતા સીમિત ન રહેતા ઋતુચક્ર સુધી પણ વિસ્તરે છે. બની શકે કે શિયાળાની બપોરે જે ગેલેરીમાં બેસી શકાય છે, એ જ ગેલેરીમાં ભરઉનાળે ન પણ બેસાય. બનવાજોગ છે, પણ ખરી કવિતા અત્યારે જે ક્ષણ સાંપડી છે એને પૂર્ણપણે જીવી લેવામાં છે. Carpe Diem નો નાદ સંભળાય છે?!

Comments (4)

ઘર : ૦૨ : નવું – હસમુખ મઢીવાળા

(શિખરિણી)

નવા બંધાવેલા ઘર મહીં અમે દાખલ થયાં
અમોને લાગ્યું કે ત્યજી દઈ અમે એક તટને
બીજે કાંઠે પહોંચ્યા કઠિન પટને પાર કરીને
પરંતુ જૂનાનાં સ્મરણ પણ ક્યાં વિસ્તૃત થતાં?
હતો મોટો વાડો, રમણીય વળી આંગણ હતું,
ફુલોના ગુચ્છાથી મઘમઘ થતો બાગ પણ ત્યાં
હતો, ને બંધાઈ કંઈ વરસની ગાઢ પ્રીતથી
પુરાણા બંધોની હૂંફ તણીય ત્યાં સંગત હતી,
હવે છોડી આવ્યા જનકતણું એ ગ્રામીણ ઘર
અને આવી પહોંચ્યા નગરભૂમિના ભવ્ય ઘરમાં,
થવા માંડ્યું તેમાં સ્થગિત બધું પાછું પ્રવહિત,
નવી દષ્ટિ લાધી, નવીન વળી દશ્યો પ્રકટતાં.
અને લાગે છે કે જલકણી મટી વાદળ થયાં
નવા બંધાયેલા ઘર મહીં અમે દાખલ થયા.

– હસમુખ મઢીવાળા

‘ઘર’ સોનેટદ્વયમાંથી ગઈકાલે આપણે ‘જૂનું’ ઘર જોયું. આજે જોઈએ ‘નવું’ ઘર. ગામના જૂના અને શહેરના નવા ઘર વચ્ચેનો કઠિન પટ પાર કરીને કવિ જાણે કે એક તટ પરથી બીજા તટે પહોંચ્યા. શરીર તો નવા ઘરમાં પ્રવેશી રહ્યું છે પણ જૂના ઘરનાં સ્મરણો વિગત થતાં નથી. જે હોય તે, મૂળને વળગીને બેસી રહે એ વૃક્ષ વિકાસ ન પામી શકે. વિકસવા માટે મૂળ તો છોડવાં જ પડે. સમય સાથે નવું ઘર થાળે પડવા માંડે છે. સ્થગિત જિંદગી ફરી પ્રવાહી સમી વહેવા માંડી. અને નૂતન જીવનદૃષ્ટિ પણ લાધે છે. જળબુંદ મટીને જાણે કે વાદળમાં નવા ઘરમાં આવેલ પરિવાર પરિવર્તિત થયેલ અનુભવાય છે. મતલબ, ખાસો વિકાસ થયો છે. ગઈકાલના ‘સૅન્ડવિચ’ સૉનેટની જેમ જ આ સૉનેટમાં પણ પહેલી અને આખરી પંક્તિ કવિએ એકસમાન રાખી છે. ઘર વિશેનું આ સૉનેટ વાંચીએ ત્યારે બાલમુકુન્દ દવેનું અમર સૉનેટ ‘જૂનું ઘર ખાલી કરતાં’ પણ યાદ આવ્યા વિના નહીં રહે.

Comments (4)

ઘર : ૦૧ : જૂનું – હસમુખ મઢીવાળા

(શિખરિણી)

ગમે તેવું તોયે ઘર જનકનું સ્વર્ગ સરખું
અહીં આ ખૂણામાં જનમ મુજ મીઠી હૂંફ ભરી
થયો બાની કૂખે, અહીં જ કર્યું પહેલું બચબચ,
બિછાનુંયે ભીનું અહીં જ કર્યું’તું, ને ઘુંટણીયું
ભર્યું’તું ને માંડ્યાં ડગ પણ અહીંથી જ પ્રથમ;
અને શાળામાં જૈ જીવન તણી બારાખડીય તે
અહીંથી ઘૂંટી’તી, અહીં જ રહી મેં મુક્ત મનથી
રચ્યું’તું ભેરુનું દળ પણ હૂંફાળું, અહીંથી જ
પળ્યો’તો વિશ્વાસે સડક પર, ને હિમ્મત ધરી
દીધું’તું મેં સ્થાપી લઘુક પણ સામ્રાજ્ય અદકું,
હવે શ્વાસે શ્વાસે શ્વસી રહું છું મારું જ ઘર, ને
શ્વસું તેમાં પાછો ગત સમય કેરો પરિમલ,
અને સિદ્ધિઓ સૌ સ્મરી સ્મરી હું આકંઠ હરખું
ગમે તેવું તોયે જનકઘર વૈકુંઠ સરખું.

– હસમુખ મઢીવાળા

પિતાનું ઘર ગમે તેવું હોય, એ સ્વર્ગ સમાન જ હોવાનું. ‘ગમે તેવું’ને બંને અર્થમાં લઈ શકાય, ખરું ને? જે ઘર હવે ‘જૂનું’ થઈ ચૂક્યું છે એ ઘરમાં પોતાના જન્મ અને પ્રથમ ધાવણથી લઈને જીવનની બારાખડી શીખવા, મિત્રમંડળ બનાવીને દુનિયાદારીમાં પ્રવેશવા સુધીની તમામ વાતોનું કવિ અત્રે સ્મરણ કરે છે. કવિએ જણાવ્યું નથી, પણ આજે કદાચ માતા-પિતા હયાત નથી એટલે ગત સમયની સુવાસ અને સૌ સિદ્ધિઓને સ્મરી-સ્મરીને કવિ આકંઠ હરખે છે. સૉનેટની પ્રથમ અને છેલ્લી પંક્તિઓ લગભગ એકસરખી હોવાથી કવિ આ પ્રકારને એપોતાની રચનાઓને ‘સૅન્ડવિચ સૉનેટ’ તરીકે ઓળખાવતા હતા. આવતીકાલે આ સૉનેટદ્વયમાંનું બીજું સૉનેટ માણીશું.

Comments (4)

જાગવું – પારુલ ખખ્ખર

“આપણામાંથી કો’ક તો જાગે” એમ બોલીને ગામના મરદ હેય ને લાંબા પગ કરીને, તકિયે ટેકા દઈને હુકા ગડગડાવે;
“કો’ક તો જાગો, કો’ક તો જાગો, જુગ જુનેરી નિંદરા ત્યાગો” એમ બોલીને ગામની બાયું જાહલ ડેલા ખટખટાવે,

જાગવું ઝોલાં ખાય રે તંયે જાગવું ઝોલાં ખાય

મર્યને મલક જાય ખાડામાં
મર્યને મૂડી જાય ભાડામાં
મર્યને જુવાન જાય ધાડામાં
બાપદાદાના સોનલા ખેતર ભાગિયા વાવી ખાય ને ભલે રોઝડા ખૂંદી ખાય, દાગીના ગીરવે મૂકી ઘરના મોભી મૂછના પૂળા ચમચમાવે

જાગવું ઠેબાં ખાય રે તંયે જાગવું ઠેબાં ખાય

ચેતજો ખાલી નામ છે મોટાં
ચોફરતે ચળકાટ છે ખોટાં
થીર રહે ના ગોળિયા લોટા
કાંખમાં ઘાલી ઘોડિયામાં લઈ જાય, રૂપાળાં હાલાં-વાલાં ગાય ને પછી સપના હારે ઘેનની ગોળી પાઈને વાંહા થપથપાવે.

જાગવું પોઢી જાય રે તંયે જાગવું પોઢી જાય

નપાણીયો આ રોગ છે છાનો
ખૂબ જગાડ્યો મોટડો નાનો
તોય ચડ્યો ના વીરને પાનો
દુંટીયેથી હુંકાર કરીને, ફેણચડ્યો ફુત્કાર કરીને, ડણકું દેતો દોટ મૂકીને કોઈ ન આવ્યો સાત પાતાળી ધરતીને જે ખળભળાવે

જાગવું ખોટી થાય રે તંયે જાગવું ખોટી થાય

હાય હવે તો એક જ આરો
ઘૂમટામાંથી થાય હોંકારો
ગઢમાં છો ને થાય દેકારો
દાંતીયા મેલી, આભલા મેલી, કાજળ-ચૂડી- ચાંદલા મેલી નમણી નાગરવેલ્ય યુગોથી રામ થયેલો પંડ્યનો દીવો ઝગમગાવે

જાગવું બેઠું થાય રે તંયે જાગવું બેઠું થાય

થઈ ન એકે પળ રે ખોટી
તેજ કર્યા હથિયાર, હથોટી
એકલપંડે કોટિ કોટિ
ગામની બાયું રણશીંગા લઈ, તીર પોઢેલા મગરમચ્છા, કૂઈ પોઢેલા દેડકબચ્ચા સૌના બહેરા કાનના પડળ ધણધણાવે

જાગવું જાગી જાય રે તંયે જાગવું જાગી જાય

-પારુલ ખખ્ખર

*’આપણામાંથી કોક તો જાગે’ પંક્તિ : વેણીભાઈ પુરોહિત

લયસ્તરો પર આ સપ્તાહાંત જાગૃતિકાવ્યોને સમર્પિત છે. પહેલાં આપણે મનોહર ત્રિવેદીની એક ગઝલ માણી. ગઈકાલે વેણીભાઈનું એક ગીત ‘કોક તો જાગે’ માણ્યું. ત્રણ અલગ-અલગ પેઢીના કવિઓ પાસેથી એક જ વિષય પર અલગ-અલગ રચનાઓ આપણને સાંપડે છે. વેણીભાઈના ગીતની નાનકડી ધ્રુવપંક્તિનો હાથ ઝાલીને કવયિત્રી એમના ગીત જેવું જ મસમોટું ગીત આપણને આપે છે. વેણીભાઈએ અનિયત પંક્તિસંખ્યાવાળા દરેક બંધના પ્રારંભે ચુસ્ત પ્રાસનિયોજના વાળી ત્રણ-ત્રણ ટૂંકી પંક્તિઓની ગૂંથણી વડે રચનાને દ્રુત ગતિ આપી હતી, એની સામે આ રચના ચુસ્ત સંરચના ધરાવે છે. દરેક બંધના પ્રરાંભે ચુસ્ત પ્રાસવાળી ત્રણ ટૂંકી પંક્તિઓ, સાથે લાંબીલચ્ચ પૂરક પંક્તિ અને છેવાડે નજીવા ફેરફારવાળું ધ્રુવપદ – નિયત આરોહ-અવરોહને લઈને ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. વેણીભાઈ આપણામાંથી કોક તો જાગેની આહલેક જગાવીને તું જગ્યો છે તો તું જ આગળ વધ એમ આહ્વાન આપે છે, પણ હવેનો જમાનો બદલાયો છે. કવયિત્રી જુએ છે કે આ કહેવાતા મરદમૂંછાળાઓમાંના કોઈ કદી જાગવાના નથી. છેવટે એક જ આરો બચે છે ને તે એ કે ઘુંઘટ પાછળ પોતાના અસ્તિત્ત્વને લોપીને જીવી રહેલી સ્ત્રીઓ મરદ બની, આગળ આવે. આ વિના ‘જાગવું’ કદી જાગનાર નથી.

Comments (7)

આપણામાંથી કોક તો જાગે – વેણીભાઈ પુરોહિત

આપણામાંથી કોક તો જાગે-
કોક તો જાગે!
કોક તો જાગે આપણામાંથી!

હાય જમાને
ઢેઢફજેતી ઢીંચતાં ઢીંચી,
ઘેનસમંદર ઘૂઘવે-
એનાં ઘોર ઊંડાણો
કોક તો તાગે-
આપણામાંથી કોક તો જાગે!

હાય જમાને
ઝેરને પીધાં વેરને પીધાં
આધીનનાં અંધેરને પીધાં
કૈંક કડાયાં કેરનાં પીધાં
આજ જમાનો અંતરાશે
એક ઘૂંટડો માગે-
સાચ-ખમીરનો ઘૂંટડો માગે:
આપણામાંથી કોક તો જાગે!

બાપદાદાની બાંધેલ ડેલી
એક ફળીબંધ હોય હવેલી
ગામની ચંત્યા ગોંદરે મેલી
એ…ય નિરાંતે લીમડા હેઠે
ઢોલિયા ઢાળી-
સહુ સૂતાં હોય એમ કાં લાગે?
આપણામાંથી કોક તો જાગે!

સોડ તાણી સહુ આપણે સૂતાં
આપ ઓશિકે આપણાં જૂતાં
ઘોર અંધારાં આભથી ચૂતાં-
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે-
આપણામાંથી કોક તો જાગે !

આમથી આવે ક્રોડ કોલાહલ
તેમથી વ્હેતાં લોહી છલોછલ
તોય ઊભાં જે માનવી મોસલ-
આપરખાં, વગડાઉ ને એવાં
ધ્યાનબ્હેરાંનાં લમણાંમાં
મર લાઠિયું વાગે !
આપણામાંથી કોક તો જાગે!

એક દિ’ એવી સાંજ પડી’તી,
લોક-કલેજે ઝાંઝ અડી’તી,
શબ જેવી વચમાં જ પડી’તી-
એ જ ગુલામી,
એ જ ગોઝારી,
મૂરછા છાંડી મ્હોરવા માગે!
આપણામાંથી કોક તો જાગે!

કોઈ જાગે કે કોઈ ના જાગે
કોઈ શું જાગે?
તું જ જાગ્યો તો તું જ જા આગે-
આપણામાંથી તું જ જા આગે…!

– વેણીભાઈ પુરોહિત

ગઈકાલે આપણે જાગવા વિશે એક ગઝલ જોઈ. આજે જોઈએ જાગવા માટેની હાકલ દેતું એક ગીત. વળી, આજે તો પ્રજાસત્તાક દિન પણ છે. એટલે આ ગીત માટે આજના દિવસથી વધુ ઉપયુક્ત સમય તો બીજો કયો હોઈ શકે? જમાનાની ફિતરત પહેલાં પણ આ જ હતી અને આજે પણ આ જ છે. નિષ્ક્રિય થઈ રાહ જુઓ અને આશા રાખો કે કોઈક ભડવીર તો આળસ ખંખેરીને જાગશે, આગળ આવશે અને ધાર્યાં કામ પૂરાં કરશે. આમ તો ગીતકવિતા ઊર્મિપ્રવણ કાવ્યપ્રકાર હોવાથી એમાં લાઘવ અપેક્ષિત હોય, પણ કવિહૃદયનો ઉકળાટ ટૂંકામાં પતે એવો નથી. આખરે આખી વાતનો નિચોડ તો એ જ છે કે કોઈ જાગે કે ન જાગે, તું જાગી ગયો છે તો તું જ આગળ વધ. બીજાની રાહ જોવામાંને જોવામાં દુનિયા અટકી ગઈ છે. આમ તો ચુસ્ત પ્રાસવાળી ત્રણ ટૂંકી પંક્તિઓની દ્રુત ગતિ અને પછી બે કે ત્રણ ટુકડામાં વિભાજિત પૂરકપંક્તિની વિલંબિત ગતિ એવી સંરચના કવિએ દરેક બંધ માટે સુનિશ્ચિત કરી છે, પણ પહેલો બંધ આ નિયોજનાને અનુસરતો નથી, ગીતકવિતા કવિને સ્વરૂપ બાબતે જે આઝાદી આપે છે, એનો આ રચના પરથી ખ્યાલ આવે છે.

Comments (3)

જાગે છે – મનોહર ત્રિવેદી

ઊંઘ ખેંચું ને રામ જાગે છે
શ્વાસ પ્રત્યેક આમ જાગે છે

દેશ અથવા ન ગામ જાગે છે
જાગ તું, તો તમામ જાગે છે

રાતનું આ વજૂદ સમજી લે
સૂર્ય જોતાં જ હામ જાગે છે

માર્ગ રોકાય કેમ પળભર પણ
મીટ માંડી મુકામ જાગે છે

રાખ ચિંતા ન દ્વાર ખૂલવાની
એક ત્યાં મુક્તિધામ જાગે છે

– મનોહ૨ ત્રિવેદી

ઊંઘ અને મૃત્યુ વચ્ચે એક જ ફરક છે કે ઊંઘમાંથી જાગી શકાય છે. જીવન ઉપરની શ્રદ્ધા કહો કે રામ ઉપરનો ભરોસો, ઊંઘતી વખતે આપણે સવારે આંખ નહીં ખૂલે તો શું થશે એવું વિચારતા નથી. જીવનની આ રોજિંદી હકીકતને ઉપાદાન બનાવીને કવિએ મજાનો મત્લા સિદ્ધ કર્યો છે. જાગવું અને જાગૃતિ વચ્ચે પણ બહુ મોટો તફાવત છે. આજે પરિસ્થિતિ એવી છે કે ઘર, ગામ કે દેશ આખામાં કોઈ જાગતું નજરે ચડતું નથી. દરેક જણ કોઈ તો કરશે, કોઈ તો જાગશેની આશામાં ઊંઘી રહ્યા છે. કવિ બહુ સચોટ ટકોર કરે છે. બીજાના જાગવાની રાહ કેમ જોવી? જાતે જ ન જાગી જઈએ? દરેક માણસ પોતાના ઘરનું આંગણું સ્વચ્છ રાખે તો દેશ આખો સ્વચ્છ થઈ જાય. આખી ગઝલ જ સહજસાધ્ય થઈ છે.

Comments (1)

મિસ જૂલિયટીનું પ્રણયગીત – રાવજી પટેલ

(હો રાજ રે હું તો તળાવપાણી ગૈતી – એ ઢાળમાં ગાવા માટે)

મારા રળજી રે અમોને કૂવે પાણી મોકલ્યાં,
અમારે ન’તું જવું ને તોય તમે ધક્કેલ્યાં!
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે અમારી પરવાળાની પાની,
દેડકો જોઈ ગયો ઉઘાડી– તીતીઘોડે પાડી તાલી,
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે કાંટા છાનામાના વાગ્યા
નબળા મેળ વગરના પાક્યા –
કાળજકૂણા કાંટા વાગ્યા..

મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે)
ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો,
કાળજકાંટા અમને વાગ્યા…

મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો,
પોપટ-પેટ કપાવી લાવો-નાજુક પાની પર બંધાવો,
કાળજકૂણા કાંટા વાગ્યા…

મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ
મારી પાનીને પંપાળી – ઓય મા પાંપણથી પંપાળી
કાળજકાંટા અમને વાગ્યા…

મારા રળજી રે અમારે ન’તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં
કૂવે પાણી ભરવા ઠેલ્યાં – અમને કાળજ કાંટા વાગ્યા.

– રાવજી પટેલ

આપણાં લોકગીતો કદાચ વિષયવૈવિધ્યની બાબતમાં આધુનિક ગીતોની સરખામણીએ વધુ સમૃદ્ધ હતાં. સેંકડો પ્રકારનાં વ્યંગકાવ્યો આપણને લોકગીતોમાંથી મળી આવે છે, પણ આધુનિક ગીતોમાં વ્યંગકટાક્ષ કાવ્યોનું પ્રમાણ સદાકાળ જૂજ જ રહ્યું છે. ‘કંકુના સૂરજ’ જેવું અમર શોકગીત આપનાર રાવજીએ કેવું મજાનું વ્યંગકાવ્ય આપ્યું છે એ જુઓ. એક તો કવિએ નાયિકાનું ના અંગ્રેજી પસંદ કર્યું છે અને એય જૂલિયટના સ્થાને જૂલિયટિ રાખ્યું છે. અંગ્રેજ બાઈને કૂવે પાણી ભરવા જવાનું કોઈ કહે તો એને કેમ ગમે? પણ એણે નહોતું જવું તોય કથકે જબરદસ્તી મોકલતાં પોતાને હૈયામાં કાંટા ભોંકાયાની પીડા થઈ હોવાની ફરિયાદથી ગીતનો ઉપાડ થાય છે. નાયિકા મારા રાવજીના સ્થાને રળજીનો તળપદો ટહુકો કરે છે એય નોંધવા જેવું. પોતે ઊઘાડા પગે પાણી ભરવા ગઈ અને લોકોએ એની ઉઘાડી પાની જોઈને ખિખિયાટા કર્યા એના કારણે આ શૂળ પાક પર ચડ્યું. 1959ની સાલમાં રશિયાનું લ્યુના-2 અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું હતું એ સમાચારનો ગરમાટો ગીતમાં પણ આવ્યો છે. નાયિકા નાયકને રશિયા તાર કરીને પોતાની ઉઘાડી પાનીઓ ઢાંકવા ચાંદો મંગાવવા કહે છે. ખરી મજા તો સાક્ષાત્ શ્રીજીએ પણ નાયિકાની પાનીને પાંપણથી પંપાળવામાં મના ન રાખી એમાં છે.

‘મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો’ – આ પંક્તિમાં હધડો એટલે શું એ સમજતા દમ નીકળી ગયો. તળપદી બોલીમાંય ક્યાંય આવો શબ્દ વપરાતો જણાતો નથી. રાવજીના આ ગીત તથા એની જ ‘અશ્રુઘર’ નવલકથામાં આ શબ્દ પ્રયોજાયો છે, પણ એનો અર્થ ક્યાંય મળતો નથી. ‘ધડો’ શબ્દનું ‘હધડો’ કરાયું હોય એમ પણ બને. રાવજીના મનમાં કયો અર્થ હશે એ તો રાવજી જ જાણે, પણ આપણને એટલું સમજાય છે કે નાયિકાને પાણી ભરવા નહોતું જવું પણ રાવજીના હોઠનો લાંક જ કંઈ એવો હતો કે નાયિકાને જવું પડ્યું. કોઈ જાણતલ વ્યક્તિ આ કોયડાનો ઉકેલ આણવામાં મદદ કરશે તો આનંદ.

Comments (3)

(કોઈ પણ કારણ વગર) – કિરણસિંહ ચૌહાણ

કેમ જીવાતું નથી એ ક્ષણ વગર?
જે મળી’તી કોઈ પણ કારણ વગર.

છે અધૂરો ગ્રંથ જે પ્રકરણ વગર,
એ પડ્યું છે મેજ પર સાંધણ વગર.

કેવા અઘરા નામવાળા રોગ છે!
સાથે રહેતા હોય છે લક્ષણ વગર.

જિંદગી એને જ તો કહેવાય છે,
ઝાંઝવા જોવા મળે જ્યાં રણ વગર.

મિત્રની યાદીમાં મારા નામ પર,
ભાર મૂકો છો તમે ભારણ વગર.

– કિરણસિંહ ચૌહાણ

ઉમદા સ્વયંસિદ્ધ ગઝલ.

Comments (4)

(ઢબૂરી ઢબૂરીને) – ડૉ. મનોજ જોશી ‘મન’

ઢબૂરી ઢબૂરીને રાખેલ સપનાં,
જગાડો ને જાગો પછી થાય ખપનાં!

અમે ચાને ચુસ્કીઓ લઈલઈને પીધી,
તમે ધીમે રહીને પૂછ્યા ભાવ કપના!

અમે નામ ધબકારે-ધબકારે લીધું,
તમે પુસ્તકો ચીતર્યાં નામજપનાં.

ન પૂર્વે ભૂમિકા, ન પ્રસ્તાવના કંઈ;
મને જોઈએ તું; બીજી કોઈ લપ ના!

ગુફામાં કે જંગલમાં જઈને શું કરશો?
ફરજથી વધી ક્યાંય પણ કોઈ તપ ના!

– ડૉ.મનોજ જોશી ‘મન’

કેવળ સૂતેલ સ્વપ્નોને જગાડવું પૂરતું નથી. આપણે ન જાગીએ ત્યાં સુધી બધું નકામું. ‘પ્રાઇઝ ટેગ’ની ચિંતામાં ડૂબેલા જિંદગી માણવાનું ચૂકી જાય છે. ત્રીજો શેર તો રામમંદિર શિલાન્યાસના ટાંકણે ખૂબ જ સંતર્પક બની રહે છે. ઈશ્વરને હૃદયમાં ઘર આપ્યું હોય એ બીજાઓ જોઈ શકે એવી દેખાડાની તપસાધના કરતાં વધુ અગત્યનું છે. છેલ્લો શેર પણ આ વાત સાથે એક કડી વધારાની જોડી આપે છે. એમાં ઝેન સાધનાનો સિદ્ધાંત પણ નજરે ચડે છે.

Comments (7)

નહીં ફાવે અવતરવાનું – વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

બીજ મહીંથી વૃક્ષ થવાનું, ઉગવાનું ને ખરવાનું?
ખર્યા પછીની પોકળ પીડા પૂછે, ‘પાછું ઉગવાનું?’

નહીં ફાવે ભઈ, નહીં ફાવે આ શ્વાસો વચ્ચે બળવાનું
દિલનો ખાલી ખૂણો ભરવા આખું જીવન તપવાનું?

છળવું કે છેતરવું ખુદને, અમને માફક નહીં આવે
રહેવા દો આ હરવું ફરવું, આંખોમાં વિસ્તરવાનું

બે રસ્તા છે આંખો સામે, અટકી જા કાં આગળ વધ,
સંશયની તોડીને સાંકળ, બોલ હવે શું જપવાનું?

આ જન્મે તો પીડા નામે મોક્ષ થયો છે ‘ઝરમર’નો
હવે ફરીથી પીડા નામે નહીં ફાવે અવતરવાનુ

– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

લયસ્તરો પર સર્જકના ગઝલ સંગ્રહ ‘હાથ જાજમ થઈ જતા’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક સરસ રચના આજે માણીએ…

https://i0.wp.com/layastaro.com/wp-content/uploads/2024/01/haath-jaajam-thai-jata.jpg?resize=373%2C585&ssl=1

 

Comments (4)

સ્વપ્ન – રવીન્દ્ર પારેખ

સ્વપ્નમાં નીકળી પડે તું આવવા,
સ્વપ્નની બદલી જશે આખી હવા.

સ્વપ્ન તોડીને તરત જાગી પડું,
બ્હાર તું આવે અગર બોલાવવા.

સ્વપ્નમાં અજવાળું પડશે, માની તું—
આંગણે બેસે દીવા પ્રગટાવવા.

સ્વપ્નમાં રહેશે નહીં કાળી તરસ,
છો મને આપે ભલે તું ઝાંઝવા.

સ્વપ્નનો વસવાટ દૃષ્ટિમાં સીમિત,
ત્યાંથી મથતું, પાર સૃષ્ટિની જવા.

સ્વપ્ન કૈં મૃત્યુ પછી આવે નહીં,
ના જીવનમાં આવતું પૂરું થવા.

સ્વપ્ન એ પૂરું કદી ના થાય, જો—
આંખ મીંચી હો ફરી ના ખોલવા.

– રવીન્દ્ર પારેખ

સ્વપ્ન વિશેની ખૂબ મજાની મુસલસલ ગઝલ. બધા જ શેર હળવે હળવે ખોલવા જેવા… કવિની ચિંતનશીલ પ્રકૃતિ અને અર્થગાંભીર્ય એક જ વસ્તુની બહુઆયામી રજૂઆતમાં ડગલપગલે ઝળકે છે.

Comments (9)

અધૂરપ – માધવ આસ્તિક

અહીં, ત્યાં, બધીયે જગામાં અધૂરપ
ઠસોઠસ ભરી છે બધામાં અધૂરપ

બધું આપ્યું છે થોડું અધકચરું અમને
પરંતુ ન આપી વ્યથામાં અધૂરપ

ઘણાં એવાં ફૂલો જે ખુશબૂ ન આપે
એ ફેલાવતાં રહે હવામાં અધૂરપ

છલોછલ કરી ના શકે તો ન પાજે,
મને ફાવશે નહિ નશામાં અધૂરપ

તું દર્શન દે એ પળ છે નક્ષત્ર સ્વાતિ
અમે બેઠા લઈ પોપચામાં અધૂરપ

ચલો એ હિસાબેય હાજર તો છે તું
રહે તારા નામે ઘણામાં અધૂરપ

ફકત એક ખટખટની આશા જીવાડે
કે મરવા પડી બારણામાં અધૂરપ

તું સ્પર્શે એ પહેલાં, તું સ્પર્શે પછી પણ
સતત હોય હાજર ત્વચામાં અધૂરપ

ખૂલે બારી પણ ત્યાંથી પડદો હટે નહિ
તો લાગે કે રહી ગઈ નફામાં અધૂરપ

કરી સહેજ શંકા મે મંજિલ વિશે ને
તરત પેસી ગઈ કાફલામાં અધૂરપ

બધાં એનાં સર્જન એ દાટી જ દેશે
જો કુંભાર જોવે ધરામાં અધૂરપ

સ્વપન મોકલીને એ પૂરી કરે છે
જે એણે મૂકી આંધળામાં અધૂરપ

તને શોધવાનુંય કારણ છે એક જ
ફરી માંગશું આયખામાં અધૂરપ

બધા પાત્ર શોધે છે સર્જકના એને
રહી શું ગઈ કલ્પનામાં અધૂરપ!

મિલન નહિ ફકત એ મુલાકાત ગણજો
જો ના પાંગરે બે જણામાં અધૂરપ

– માધવ આસ્તિક

ગઝલ તો છે અધૂરપની પણ કવિએ શેર ગૂંથ્યા છે પૂરા પંદર. મજા તો એ છે કે પંદરે-પંદર શેર મજબૂત થયા છે. મત્લામાં જ અત્ર-તત્ર, સર્વત્ર બધામાં બધેબધ ઠસોઠસ અધૂરપ ભરી હોવાની વાતમાં કવિએ ઠસોઠસ અને અધૂરપનો વિરોધાભાસ કેવી સહજતાથી વણી લીધો છે! ક્યાંય કોઈ અઘરા કલ્પન કે મથામણ કરવા મજબૂર કરે એવા રૂપકો નથી. કવિએ તદ્દન સરળ બાનીમાં અધૂરપના દરેક શેરોને પૂર્ણપણે અર્થગાંભીર્ય બક્ષ્યું છે.

Comments (5)

મોજ પડે તો – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

મોજ પડે તો ગાવું…
મન મારીને મનમાં શાને નાહકના મૂંઝાવું…

નદી ખળળખળ વહેતી ખુદની મોજે
દરિયો ઊછળે એમ ઊછળવું રોજે

હવા સરકતી હોય સહજ બસ એમ સરકતા જાવું…
મોજ પડે તો ગાવું…

વૃક્ષ વિકસતું મનગમતા આકારે
એમ વિકસવું પોતાના આધારે

પડી ગયેલા ચીલે ચાલી શીદને બીબું થાવું…
મોજ પડે તો ગાવું…

– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

લયસ્તરો પર કવિના ગીતસંગ્રહ ‘ઝાકળનાં ટીપાં’નું સહૃદય સ્વાગત છે…

કવિતામાં સરળતાથી વધુ લપસણું કદાચ બીજું કશું નથી. સરળતમ ભાષામાં કાવ્ય સિદ્ધ કરવું સૌથી વધુ દોહ્યલું છે. પણ, આ રચના જુઓ, અતિસરળ ભાષા અને એકદમ સહજ દાખલાઓની મદદથી કવિ નાચતા-ગાતા આપણને ભાર વિનાનો જીવનબોધ કેવી સાહજિકતાથી આપે છે! આપણે શું કરીએ છીએ એ નહીં, પણ જે કરીએ છીએ એમાં મોજ પડે છે કે નહીં એ અગત્યનું છે. નદી હોય કે દરિયો, હવા હોય કે વૃક્ષ – દરેક પોતાની મસ્તીના રાજા છે. કોઈ બીજાને જોઈને પોતાના નિત્યક્રમ બદલતું નથી.

Comments (4)

રાખો મારાં વેણ – વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

રાખો મારાં વેણ હરિવર! રાખો મારાં વેણ
અંત ઘડીએ પરગટ થાજો, ઠરશે મારાં નેણ
હરિવર! રાખો મારાં વેણ

ચિત્ત કશે ના લાગે અમને, ક્યાય મળે ના ચેન
આઠ સમા પણ ઓછા પડતા, સમરણ ખૂટે એમ
જપ, તપ, ધ્યાન, સમાધિ, સુરતા રાતદિવસનું વ્હેણ
હરિવર! રાખો મારાં વેણ

કર્મ, વિકારો છોડ્યા, છૂટ્યા તો સમજાયો ભેદ
જેને ભાળ અલખની લાધી, એ જણ ચારો વેદ
પ્રાણ બનીને પ્રાણ હર્યા રે, જીવવુંયે જીવલેણ
હરિવર! રાખો મારાં વેણ

‘પર’ સેવી પરસેવો પાડે, એ જ તરે ને તારે
અધવચ ડોલી મારગ મેલે, એ મરતા, ને મારે
હંસારાણા શાને થાવું ‘નહીં સાંધો નહીં રેણ’?
હરિવર! રાખો મારાં વેણ

– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

કવયિત્રીના કાવ્યસંગ્રહ ‘અલખ મલક અજવાળું’નું લયસ્તરો પર સહૃદય સ્વાગત…

અન્ય કોઈ નહીં, કેવળ એક જ આરત છે- જીવનભર નહીં મળે તો વાંધો નહીં, બસ,અંત ઘડીએ ઈશ્વરદર્શન થવા જોઈએ. નથી ચિત્ત ક્યાંય લાગતું, નથી ચેન મળતું. રાતદિ ચાલતાં જપ-તપ વિ. માટે આઠ પહોર પણ અપૂરતાં અનુભવાય છે. અલખની ભાળ લાધે એ વ્યક્તિ સાક્ષાત્ ચતુર્વેદ છે. પ્રાણ બનીને પ્રાણ હર્યાનો યમક અલંકાર પણ પ્રભાવક થયો છે. અન્યોની સેવા કાજે પરસેવો પાડે એ પોતે તો તરે જ, અન્યોને પણ તારે. જે અધવચ્ચેથી ચલિત થઈ જાય એ પોતે તો મરે જ, અન્યોને પણ મારે.

Comments (5)

એ…હેહેય…હેહેય…,ઝાડ – રમેશ પારેખ

એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં
(ભયનો માર્યો હું તો મારા ક્યાંના સાડત્રીશમા પાને વળગી પડ્યો)
હલક્યાં કૂણાંછમ કૂંડાળાં કલગીવાળાં ફર્રર્રર્રર્ર
હું ખમ્મા, જાઉં ઠેલાતો, જાઉં ફેલાતો ક્યાંક મારામાં

એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં

છાંયડાના ખાબોચિયાને મેં પાનખોંખારાભેર કહ્યું કે, એ ય ટીનુ, તું ખૂલ.
આજ છે અલ્યા, દરિયાપાંચમ, ઊઠ, બેઠું થા, દોડ, કૂદી જા, હાંફ, તૂટી જા, ઝૂલ;
ઝૂલ, ને છાંટા નાખ, થોડા આ તડકે, થોડા સડકે, થોડા ક્યાંક અને થોડાક મારામાં

એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં

ટેકરી ભીની લસરે, અડે, પ્રસરે, દડે હાથમાં, ભીડે બાથમાં, જોતાંવેંત,
ઘાસનું ઝીણું તરણું એની પ્હેલવારુકી ટોચથી ધાવે નભનું સકળ હેત;
દરિયા, તને પૂછતાં ભૂલી જાઉં એ પ્હેલા બોલ, વ્યાપ્યો છે તું કે તારો છાક મારામાં
એ…હેહેય…હેહેય ઝાડ કૂદ્યું ડબાક્ મારામાં

– રમેશ પારેખ
(જુન ૨૯, ૧૯૭૮)

રમેશ પારેખ ગુજરાતી કવિતાનો અનન્વય અલંકાર છે..ઝાડ હેહેય કરતુંકને કૂદકો મારી માણસમાં પ્રવેશે, આ રિવર્સ પરકાયાપ્રવેશને લઈને માણસ ઝાડનાં સંવેદનો આત્મસાત્ કરે અને કવિ શબ્દોની સહાયથી એ આપણને તાદૃશ કરી દેખાડે એ ચમત્કાર ર.પા. જ કરી શકે.

કવિએ કવિતાની નીચે તારીખ લખી ન હોત તો સાડત્રીસમા પાનાનો સંદર્ભ શોધવું થોડું અઘરું થઈ પડત. ઝાડના સ્વકાયાપ્રવેશથી ડરીને કથક આયુષ્યના સાડત્રીસમા પાનાંને વળગી પડે છે. ઝાડ કૂદીને પ્રવેશે છે, અને તેય હોકારા કરતું કૂદે છે એ વાત સૌથી અગત્યની છે. આ અણધાર્યો કૂદકો છે. ટકોરા દઈને કોઈ આવતું હોય તો એને રોકી શકાય પણ હાકોટા પાડતું કોઈ ડબાક્ કરીને તમારામાં ઝંપલાવી દે ત્યારે તમારી પાસે બચવાનો કોઈ આરો જ નથી રહેતો. આ પ્રવેશને સ્વીકાર્યે જ છૂટકો.

વૃક્ષપ્રવેશ પછી શી ઘટનાઓ ઘટી એ પણ જોઈએ. કૂણાં પાંદડાઓ ફૂટવાની સાથે કવિમાંનો માણસ ક્યાંક ઠેલાતો જાય છે અને ઝાડ ફેલાતું જાય છે. પથરો પાણીમાં પડે અને વમળો સર્જાય એમ જ ઝાડ માણસમાં પડે છે ત્યારે કૂણાંછમ કૂંડાળાં હેલ્લારે ચડે છે. માણસનો ખોંખારો, તો ઝાડનું શું? તો કે’ પાનખોંખારો! માણસનો પડછાયો ઝાડની તુલનાએ ખાબોચિયા જેવડો નાનો જ હોય. કથક આ છાંયડાના ખાબોચિયાને ખોંખારીને દરિયાપાંચમ યાદ કરાવી વિસ્તરવા ઇજન આપે છે. કવિનું પ્રકૃતિપણું ઝાડ કે એના ખાબોચિયા જેવડા છાંયડા પૂરતું સીમિત ન રહેતાં વૃક્ષની જેમ જ વિસ્તરતું રહે છે. જે ભીની ટેકરી પર એ ઊગ્યા છે, એ ટેકરી ક્યારેક જાણે એમના હાથમાં દડે છે તો ક્યારેક એ એમની બાથમાં ભીડાઈ જાય છે. અને ઘાસના ઊગવાની કલ્પના પણ કેટલી રમ્ય છે! નાનું અમથું તરણું જાણે માથા પર ફેલાયેલા આભના પ્રેમને ધાવે છે! દરિયાને પણ દાદાગીરીથી પોતાના અસ્તિત્ત્વમાં એ કે એનો કેફ શું વ્યાપ્યું છે એમ પૂછીને કવિ વૃક્ષ અને વ્યક્તિથી લઈને સમુદ્ર અને સમષ્ટિ સુધીની ગતિ કરે છે…

ગીતનું સૌથી મોટું જમાપાસું છે ભાષાકર્મ અને લયહિલ્લોળ. કૂણાંછમ, પાનખોંખારા કે દરિયાપાંચમ જેવા શબ્દ કોઈન કરીને ર.પા. આપણી ભાષાને પણ રળિયાત કરે છે. એ… હેહેય… ડબાક્… ફર્રર્રર્રર્ર… ખમ્મા… દોડ, કૂદી જા, હાંફ, તૂટી જા, ઝૂલ… લસરે, અડે, પ્રસરે, દડે, ભીડે… – આ શબ્દપ્રયોગો જાણે કે ઝાડ જેમ કવિમાં, એમ આપણી ભીતર એ…હેહેય…હેહેય કરતાંક કૂદકો મારી પ્રવેશી જાય છે.

Comments (11)